હવે રેલવેના પારદર્શક કોચમાં બેસીને કાશ્મીરની સુંદરતાનો અનેરો લહાવો લઇ શકાશે
નવી દિલ્હીઃ કાશ્મીરની સુંદરતાનો નજારો હવે ટ્રેનમાં બેસીને પણ માણી શકાશે. આ માટે રેલવે તંત્ર દ્વારા ખાસ પ્રકારનો પારદર્શક કોચ બનાવાયો છે.
ટ્રેનમાં મુસાફરી કરનારા ફક્ત બંને બાજુ જ નહીં પરંતુ છત પરથી પણ નજારો જોઈ શકશે. રેલવે વિભાગ હવે માત્ર રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોવે છે. આ પ્રકારનો કોચ પહેલા જ કાશ્મીર પહોંચાડી દેવાયો છે અને ટ્રાયલ પણ પૂર્ણ કરાઈ છે. રાજ્ય સરકારની મંજૂરી મળતાં જ પ્રવાસીઓ માટે કોચ શરૂ કરી દેવાશે.
પારદર્શક કોચમાં બેસીને ત્રણેય તરફથી કાશ્મીરની સુંદરતાને માણી શકાશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આ પારદર્શક કોચ એ પ્રકારનો હશે કે પ્રવાસીઓ ચાલતી ટ્રેનમાંથી બંને તરફના પહાડો અને નદીઓ જોઈ શકશે સાથે જ છત પણ પારદર્શક હોવાથી આકાશનો નજારો પણ નિહાળી શકશે. રેલવેના સૂત્રોના મતે સૌથી પહેલા ટ્રેનને બડગામ-શ્રીનગર રૂટ પર ચલાવાશે. આ કોચને અહીં ચાલતી DMU ટ્રેન સાથે જોડાશે.
દેશમાં પ્રથમવાર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ તૈયાર કરાઈ રહેલા હબીબગંજ અને ગાંધીનગર રેલવે સ્ટેશન નક્કી કરેલા સમય કરતાં લગભગ 6 મહિના પહેલાં જ બની જશે. ગાંધીનગર સ્ટેશન પર 300 રૂમવાળી ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવાશે. આ સિવાય બંને સ્ટેશન પર એવી ઘણી સુવિધાઓ વિકસાવાશે જે ફક્ત દેશમાં એક-બે સ્થળે જ હશે.
ઈંડિયન રેલવે સ્ટેશન ડેવલપમેંટ ઓથોરિટીના પ્રમુખ એસ. કે. લોહિયાના મતે, મધ્યપ્રદેશ સ્થિત હબીબગંજ રેલવે સ્ટેશનને તૈયાર કરવાની ડેડલાઈન જુલાઈ 2019 છે પરંતુ તેના નક્કી સમય કરતાં પહેલા એટલે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં જ બની જશે. આ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે.
સ્ટેશન પર પાર્કિંગથી લઈને કૉનકોર્સ એરિયાને એ પ્રકારે ડેવલપ કરાશે કે પ્લેટફોર્મ પર ભીડ ના થાય. ઓથોરિટીના અધિકારીઓનું કહેવું છે કે, આ સ્ટેશન પર એરપોર્ટની જેમ કૉનકોર્સ બનાવાશે, જેમાં એવી સુવિધા હશે કે યાત્રી પ્લેટફોર્મ પર રાહ જોવાને બદલે ત્યાં જ રાહ જોઈ શકશે. આ જ પ્રકારે ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્ટેશનને પણ આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં બનાવી દેવાશે.
ઈંડિયન રેલવેમાં મોટાપાયે ચાલતા સમારકામને કારણે 62 ટ્રેનો રદ્દ કરાઈ છે. જેમાંથી 22 મેલ એક્સપ્રેસ ટ્રેન છે બાકીની બધી પેસેન્જર ટ્રેન છે. આમાંથી અડધી ટ્રેનો નોર્ધન રેલવેની છે. ઈંડિયન રેલવેના એક સીનિયર અધિકારીના મતે, હાલ દેશભરમાં રેલવે ટ્રેકનું સમારકામ અને ટ્રેક બદલવા જેવા કાર્યો ચાલુ છે. આ કામ સેફ્ટી સાથે જોડાયેલા છે, જેથી ટ્રેન સુરક્ષિત ચાલી શકે.