૧૧ મેથી નેપાળની બે દિવસની મુલાકાત લેશે નરેન્દ્રભાઈ
વડાપ્રધાન જનકપુર જશે : હિંદુ તીર્થસ્થાન મુક્તિનાથની પણ મુલાકાત લ્યે તેવી સંભાવના
નવી દિલ્હી: એપ્રિલ અને જુનમાં ચીનની બે મુલાકાતની વચ્ચે આગામી ૧૧ મેથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નેપાળની મુલાકાત લેશે.
૨૦૧૫-૧૬માં ભારત નેપાળ સરહદ ઉપર આર્થિક નાકાબંધી પછી બંને દેશો વચ્ચેના સંબંધો વણસી ગયા છે. તેમાં ફરી ગરમાવો લાવવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આગામી ૧૧ મેના રોજ નેપાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યા છે.
૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર ભાઈ આ ત્રીજી વખત નેપાળ જઈ રહ્યા છે. તાજેતરમાં જ નેપાળના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવી ગયા હતા.
નેપાળના વડાપ્રધાનની ભારત મુલાકાત દરમિયાન જ નરેન્દ્રભાઈની નેપાળ મુલાકાતની વિગતો ઘડી કાઢવામાં આવી હતી.
નરેન્દ્રભાઈ આ મુલાકાત દરમ્યાન જનકપુર પણ જશે ૨૦૧૪માં નેપાળના પ્રવાસ દરમ્યાન તેઓ જનકપુર જવાના હતા પરંતુ જઈ શક્યા ન હતા. આ વખતે હિંદુ તીર્થસ્થાન મુક્તિનાથની પણ મુલાકાત શ્રી મોદી લ્યે તેવી પૂરી સંભાવના છે.