જે ન્યાયતંત્ર ઉપર ૧૨પ કરોડ ભારતીયોને વિશ્વાસ છે તેના ઉપર કોંગ્રેસ અને નહેરૂ-ગાંધી વંશને વિશ્વાસ નથીઃ અમિતભાઇ શાહના રાહુલ ગાંધી સામે વળતા પ્રહારો
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વળતો પ્રહાર કરીને મહાભિયોગની નોટિસ મુદ્દે નિવેદનનો સણસણતો જવાબ આપ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે સોમવારે ‘સંવિધાન બચાઓ’ અભિયાનની શરૂઆત કરીને ભારે કટાક્ષો કર્યા હતા. જોકે રાહુલ ગાંધીના નિવેદન પછી બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહે પણ વળતો જવાબ આપ્યો હતો. અમિત શાહે રાહુલ ગાંધી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘સંવિધાન બચાવી લે અથવા તો વંશ’
અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘જે લોકો સેના, કાયદો, સૂપ્રીમ કોર્ટ, ઇલેક્શન કમિશન, ઇવીએમ અને આરબીઆઈ ઉપર વિશ્વાસ નથી રાખતા તેમને હવે લોકતંત્ર ખતરામાં લાગે છે. મહાભિયોગ કોંગ્રેસ માટે આજકાલ સૌથી મોટો મુદ્દો છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર, જેના ઉપર 125 કરોડ ભારતીય વિશ્વાસ કરે છે. એના ઉપર કોંગ્રેસ અને નહેરુ ગાંધી વંશને વિશ્વાસ નથી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાલકટોરા સ્ટેડિયમમાં મોદી સરકાર વિરૂદ્ધ ‘સંવિધાન બચાવો’ અભિયાન ચાલુ કર્યું છે.