કર્મચારીઓનું મનોબળ વધારવા માટે રેલવેમાં ઉચ્ચ અધિકારીઓ તેમનાથી નીચલા વર્ગના કર્મચારીઓને તુંકારાને બદલે તમે કહીને બોલાવેઃ રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિન લોહાનીનું સુચન
નવી દિલ્હીઃ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેનાથી નીચેના વર્ગના કર્મચારીઓને તુંકારો કહીને નહીં પરંતુ તમે કહીને સંબોધીત કરે તેવો નિર્દેશ રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિન લોહાનીઅે આપ્યો હતો. લોહાનીએ ગત અઠવાડિયે રેલવે કર્મચારીઓનું મનોબળ વધારવા માટે આવો નિર્દેશ કર્યો હતો.
રેલવેના તમામ સંચાલકો અને વિવિધ વિભાગોને મોકલવામાં આવેલા સંદેશમાં લોહાનીએ કહ્યું છે કે, 'અનેક સુપરવાઇઝર અને કર્મીઓ મને ફરિયાદ કરે છે કે અધિકારીઓ તેમને 'તમે' કહીને નહીં પરંતુ 'તુ' અને 'તે' કહીને બોલાવે છે. આ અશોભનિય વ્યવહાર છે અને આપણા આપણા કર્મચારીઓ સાથે વાતચીત કરતી વખતે સારી અને માન જળવાઈ રહે તેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.'
તેમણે કહ્યું, 'આપણે એક સભ્ય સંગઠન બનાવવું છે અને સારો વ્યવહાર કરવાનો છે. મહેરબાની કરીને આ મોરચે પણ બધાથી આગળ રહો.'
નોંધનીય છે કે રેલવેમાં વીઆઈપી સંસ્કૃતિને ખતમ કરવા માટે અને ભારતીય રેલવેમાં પ્રોટોકોલનું પાલન થાય તે માટે લોહાની સમયાંતરે આવા પ્રકારના નિર્દેશ આપતા રહે છે.