IITના ૫૦ છાત્રો રાજકીય મેદાનમાં
નોકરી છોડીને પક્ષની રચના કરીઃ બહુજન આઝાદ પાર્ટી 'સમાન ભારત, ખુશહાલ ભારત' સૂત્રઃ લોકસભા ચૂંટણી નહિ લડેઃ બિહાર ધારાસભાની ચૂંટણી ખેલશેઃ 'આપ' જેવો રાજકીય પ્રયોગ - 'બાપ'
નવી દિલ્હી તા. ૨૩ ઉ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IITના ૫૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આજરોજ એક ગ્રુપે અનુસુચિત જાતિ,અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ OBCના અધિકારોની લડાઈ લડાવા માટે પોતાની નોકરીઓ છોડીને અચાનક એક રાજકીય પાર્ટી બનાવી લેતા દેશના રાજકારણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો. આ વિદ્યાર્થી સંગઠને પોતાની રાજકીય પાર્ટીનું નામ 'બહુજન આઝાદ પાર્ટી' (BAP) રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં આ યુવાનો મુખ્ય ચૂંટણી પંચની મંજૂરીની રાહ જોઈને બેઠાં છે. આ ગ્રુપે પોતાની પાર્ટીને ટૂંક સમયમાંજ દેશના રાજકારણમાં સક્રિય થવાના મંડાણ કરી લીધા છે. આ પાર્ટીનું નેતૃત્વ ૩ વર્ષ પહેલા IIT દિલ્હીથી સ્નાતકનો અભ્યાસ કરી ચૂકેલા નવીન કુમાર કરી રહ્યા છે. પોતાના સંગઠન અંગે તેમણે માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે ૫૦ લોકોનું ગ્રુપ છીએ. બધા અલગ-અલગ IITમાંથી છે. જેમણે પાર્ટી માટે કામ કરવા પોતાની નોકરીઓ છોડી દીધી છે.આપને જણાવી દઇએ કે, આ પક્ષાના સભ્યો ઉતાવળમાં કોઈ પણ પગલું ભરવા માંગતા નથી. જેથી તેઓ હાલમાં ચૂંટણી લડવા નથી ઈચ્છતા તેમણે કહ્યું કે, તેમનો હેતુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાનો નથી. કુમારે કહ્યું કે, અમે ઉતાવળમાં કોઈ કામ કરવા નથી અને આગામી સમયમાં બિહારમાં યોજાનારી ચૂંટણીથી અમારા શ્રી ગણેશ કરીશું અને ત્યારબાદ ૨૦૧૯ પણ ખાસ સ્થાને રહેશે.(૨૧.૯)