મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરીવાર ઝડપી વધારો:છેલ્લા 24 કલાકમાં 8,807 નવા કેસ : 80 લોકોના મોત

ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ : રાજ્યમાં દરરોજ સરેરાશ 60,000 નમૂનાઓનું પરીક્ષણ

મુંબઈ : મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના વાઈરસ ના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,807 નવા કેસ નોંધાયા છે. 80 લોકોના મોત પણ થયાં છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,772 લોકોને સાજા થતાં રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત મુંબઈમાં 1,167 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ મુજબ મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધીને 21,21,119 થયા છે. આમાંથી 20,08,623 લોકો સાજા થયા છે. હાલ સક્રિય કેસની સંખ્યા 59,358 છે, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 51,937 પર પહોંચી ગયો છે

 રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરો અને સ્થાનિક સંસ્થાઓના કમિશનરોને તપાસ ઝડપી કરવા જણાવ્યું છે. કેબિનેટની બેઠક બાદ લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે કહ્યું કે બેઠકમાં રાજ્યની કોવિડ -19 પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસની સંખ્યા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં દરરોજ સરેરાશ 60,000 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મલિકે કહ્યું કે અધિકારીઓને હાઈપર એક્ટિવિટીથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવતા લોકોને શોધવા માટે કહ્યું છે.

અગાઉ મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના  વાયરસના છ હજારથી વધુ નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી, જ્યારે 51 ચેપગ્રસ્ત લોકોનાં મોત નિપજ્યાં હતાં. આરોગ્ય વિભાગે કહ્યું હતું કે સોમવારે 5,210 નવા કેસ નોંધાયા છે, જ્યારે મંગળવારે 6,218 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ કુલ કેસ વધીને 21,12,312 થયા છે. રાજ્યમાં 10 ફેબ્રુઆરી પછી દૈનિક કેસની સંખ્યા વધી રહી છે.

(10:11 pm IST)