સોરમમાં થયેલ ઝપાઝપી પુર્વયોજીત કાવત્રુ હતુ, મસ્જિદમાંથી એલાન થયેલુ : સંજીવ બાલિયાન
નવી દિલ્હી તા. ૨૪ : યુપીના મુઝફરનગરના સોરમ ગામમાં ગઇકાલે ભાજપ અને આરએલડી કાર્યકર્તાઓ વચ્ચે થયેલ ઝપાઝપીની ઘટનાને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલીયાને પૂર્વયોજીત ગણાવી જણાવ્યુ છે કે આ અંગે મસ્જિદમાં જ મારી વિરૂધ યોજના ઘડાઇ ચુકી હતી. આની પાછળ સમાજવાદી પાર્ટી અને એલઆરડીનો હાથ હોવાનું તેઓએ જણાવેલ છે.
બાલિયાને જણાવ્યુ છે કે શાહપુર થાણા ક્ષેત્રના સોરમ ખાતે હું તેરહવીમાં ગયો ત્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવારના પરિવારના ૧૦-૧૨ સભ્યોએ મારી સાથે ગેરવર્તન કર્યુ હતુ. લોકદળના કાર્યકરોએ પણ આવુ જ કર્યુ હતુ. હું ત્યાંથી નિકળી ગયો એટલે ઝપાઝપી શરૂ થઇ ગઇ હતી. મારી વિરૂધ્ધમાં સંગઠીત થવા માટે મસ્જિદમાંથી જ એલાન થયુ હતુ.
તેઓએ જયંત ચૌધરીનું નામ લીધા વગર તેમના પર પણ નિશાન સાધેલ. તેમજ પૂર્વ સાંસદ અમીર આલમ પર નિશાન તાકતા જણાવેલ કે સમાજમાં ભાગલા પડાવી અશાંતિ ફેલાવવાના આ બધા પ્રયાસો છે. સમગ્ર ઘટનાની તપાસ કરી કોલ ડીટેઇલ મેળવવા અને દોષિતોને ઉઘાડા પાડવા જિલ્લા પ્રસાશન સમક્ષ શ્રી બાલીયાને માંગણી ઉઠાવી છે.