પાંચ રાજ્યના લોકોએ દિલ્હીમાં પ્રવેશતા પહેલા કોરોના ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે
મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબથી આવતા લોકોએ નિયમ પડશે લાગુ : 15મી માર્ચ સુધી રહેશે અમલ
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. જેને લઈ દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી આવતાં લોકોએ કોરોના ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબથી આવતા ટ્રાવેલર્સે દિલ્હીમાં પ્રવેશતી વખતે કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ બતાવવો પડશે. 26 ફેબ્રુઆરીથી લઈ 15 માર્ચ સુધી આ નિયમ લાગુ રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે, દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1009 છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 6,26,261 લોકો મુક્ત થઈ ચુક્યા છે. દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10,903 થયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,742 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 104 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,10,30,176 પર પહોંચી છે. જ્યારે 1,07,26,702 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી મૃત્યુઆંક 1,56,567 પર પહોંચ્ય છે. એક્ટિવ કેસની સંખ્યા 1,46,907 છે. દેશમાં અત્યાર સુધીમાં 1,21,65,598 લોકોને રસી આપવામાં આવી ચુકી છે