મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

રાકેશે ટીકૈતનું એલાનઃ ખેડુતો આકરા પાણીએ

સંસદનો ઘેરાવ કરશે ખેડુતોઃ ૪ નહી ૪૦ લાખ ટ્રેકટર આશરે

નવી દિલ્હી, તા.૨૪: કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ૩ મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂત નેતાએ ફરીવાર દિલ્હીમાં સંસદનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતે કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકારને ફરીવાર ચેતવણી આપી છે. કેન્દ્ર સરકાર જો કૃષિ કાયદા પરત ન લે તો હવે સંસદને ઘેરવાનું એલાન કરવામાં આવ્યું છે અને આ વખતે ૪૦ લાખ ટ્રેકટર પહોંચી જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમણે ખેડૂતોને આ કામ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે કારણ કે ગમે ત્યાં દિલ્હી જવાનું આહવાહન થઈ શકે છે.

રાજસ્થાનના સીકરમાં ખેડૂતોની એક મહાપંચાયતને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે 'કાન ખોલીને સાંભળી લે દિલ્હી, આ ખેડૂતો ત્યાં જ છે અને ટ્રેકટર પણ ત્યાં જ હશે. આ વખતે આહ્વાહન સંસદનું થશે. કહીને જ જઈશું સંસદ પર. આ વખતે ચાર લાખ નહીં ચાલીસ લાખ ટ્રેકટર આવશે.'

ઈતેમણે વધુમાં કહ્યું કે ખેડૂતો ઈન્ડિયા ગેટ પર વાવણી કરશે અને પાક ઉગાડશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે સંસદને ઘેરવાની તારીખનું એલાન સંયુકત કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે.

રાકેશ ટીકૈતે ખેડૂતો તરફથી સરકારને ખુલ્લી ચેતવણી આપી છે કે સરકાર ત્રણ કૃષિ કાયદાને પાછા નહીં લે અને MSP લાગુ નહીં કરવામાં આવે તો મોટી મોટી કંપનીઓના ગોડાઉન ધ્વસ્ત કરી દેવાનું કામ પણ આ દેશનો ખેડૂત કરશે. આ માટે પણ સંયુકત મોરચા તારીખ જાહેર કરશે.

નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂત આગેવાનો પોતાના સમર્થકો સાથે દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે અને કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી છે. સરકાર અને ખેડૂતો બંને ઘણીવાર કહે છે કે વાતચીતથી સમાધાન આવશે પરંતુ બંને પક્ષ વચ્ચે કોઈ વાતચીત થઈ રહી નથી. બીજી તરફ હવે ખેડૂતોએ પોતાની રણનીતિ બદલી નાખી છે. ખેડૂતો હવે દેશના જુદા જુદા રાજયોમાં જઈને મહાપંચાયત કરી રહ્યા છે તથા આંદોલનને વધુમાં વધુ ફેલાઈ શકાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

(10:54 am IST)