મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

હરિદ્વારમાં મહાકુંભને લઇને કેન્દ્રની ગાઇડલાઈન જાહેર

કોરોના નેગેટિવ મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત : મહાકુંભમાં આવનાર ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે

દેહરાદૂન, તા. ૨૪ : કેન્દ્ર સરકારે હરિદ્વારમાં યોજાનારા મહાકુંભને લઈને ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે મેળામાં એવા હેલ્થ કેર વર્કરને ડ્યૂટી પર તૈનાત કરે, જેને વેક્સિન આપવામાં આવી છે. સાથે કુંભ મેળામાં ડ્યૂટી કરનાર સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સિન લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર તરફથી જારી ગાઇડલાઇન પ્રમાણે મહાકુંભમાં આવનાર બધા ભક્તો અને શ્રદ્ધાળુઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે કોરોના નેગેટિવ મેડિકલ સર્ટિફિકેટ લાવવુ જરૂરી હશે. ગાઇડલાઇનમાં ગર્ભવતી મહિલાઓ, ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકોને મહાકુંભમાં ન આવવાનું કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મનગરી હરિદ્વારને મહાકુંભ માટે શણગારવામાં આવી રહ્યું છે. દીવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. નવા રસ્તાઓ બની રહ્યાં છે. સંત-મહાત્માઓ માટે ટેન્ટોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તે માનવામાં આવી રહ્યું છે કે ૨૭ ફેબ્રુઆરીથી કુંભની શરૂઆત થશે. તેવામાં તંત્રની પાસે એક મહિનાનો સમય છે.

(10:16 pm IST)