સરકાર ખેડૂત સંગઠન સાથે વાતચીત કરવા માટે તૈયાર તારીખ નક્કી કરીને જણાવે :કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર
સરકારનો હેતુ સ્પષ્ટ છે, અમે સંપૂર્ણ દ્રઢતા સાથે નવા કાયદાના ફાયદા તમામ સાથે ચર્ચા કરી રહ્યા છીએ
નવી દિલ્હી : કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે મંગળારે ખેડૂત આંદોલનને લઇને જણાવ્યું કે બે દિવસ પહેલા કૃષિ મંત્રાલય તરફથી ખેડૂત સંગઠનને પત્ર મોકલવામાં આવ્યું હતુ, સરકાર ખેડૂત સંગઠન સાથે વાત કરવા માંગે છે. જો ખેડૂત વાત કરવા માંગે છે તો એક તારીખ નક્કી કરી જણાવે કે અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ. તેમણે જણાવ્યું કે આ વાત ખેડૂત સંગઠનોને જણાવવામાં આવી હતી. સરકારનો હેતુ સ્પષ્ટ છે, અમે સંપૂર્ણ દ્રઢતા સાથે નવા કાયદાના ફાયદા તમામ સાથે ચર્ચા કરી રહ્યા છે. આશા છે કે ખેડૂત ભાઈ અમારી હેતુને સમજશે.
પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ત્રણ નવા કૃષિ સુધારા સંબંધિત કાયદાને MSP સાથે કોઇ સંબંધ નથી. MSP એક વહીવટી નિર્ણય હોય છે. તેમણે જણાવ્યું કે મેં સંસદમાં કહ્યુ હતુ કે અમે MSP વ્યવસ્થા ચાલુ રાખીશું. વડાપ્રધાને પણ અનેક વખતે કહ્યુ છે કે MSP અંગે કોઈ શંકા ના હોવી જોઈએ. ઉલટાનું સરકારે MSP વધારી છે અને સાથે અનાજ પણ વધુ ખરીદયુ છે. જો ખેડૂત સંગઠો આ અંગે કોઈ સૂચન આપવા માંગે છે તો સરકાર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત નેતાઓએ કૃષિ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા પત્રને લઇ સોમવારે જણાવ્યું હતુ કે જો સરકાર ‘નક્કર સમાધાન’ રજૂ કરે છે તો તેઓ વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ દાવો કર્યો છે કે વાર્તા માટે આગામી તારીખના સંબંધમાં કેન્દ્રના પત્રમાં કઇ પણ નવુ નથી. ભારતીય કિસાન યૂનિયન (BKU) નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે સરકારે તેમના પત્રમાં ઉલ્લેખ કર્યુ છે કે તેઓ નવા કૃષિ કાયદામાં સુધારાના પૂર્વ પ્રસ્તાવ પર વાત કરવા ઇચ્છે છે. ટિકૈતે જણાવ્યું કે આ મુદ્દે (સરકારના પ્રસ્તાવ), અમે તેમની સાથે પહેલા વાતચીત નથી કરી. હાલ અમે ચર્ચા કરી રહ્યા છીએ કે, સરકારના પત્રનું કઇ રીતે જવાબ આપવામાં આવે. જણાવી દઇએ કે 9 ડિસેમ્બરે છઠ્ઠા તબક્કાની વાતચીત સ્થગિત થઇ ગઇ હતી.