બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના માસ્ટરમાઈન્ડને ઝડપી લેવાયો
સુરક્ષા એજન્સીઓએ ઈકબાલ હુસેન નામના કટ્ટરવાદી હુમલાખોરની પૂછપરછ શરૃ કરી
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના કેસમાં હુમલાના માસ્ટરમાઈન્ડને ઝડપી લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓએ ઈકબાલ હુસેન નામના આ કટ્ટરવાદી હુમલાખોરની પૂછપરછ શરૃ કરી છે.
દુર્ગા પૂજાના પંડાલમાં હિન્દુઓ ઉપર હુમલા થયા હતા. એ હિંસામાં ૨૦ જેટલાં મકાનો ખાક થઈ ગયા હતા અને બીજાં ૬૫ મકાનોને નુકસાન થયું હતું. આ કેસમાં બાંગ્લાદેશની પોલીસે માસ્ટરમાઈન્ડ ઈકબાલ હુસેનની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે કોક્સ બાઝાર બિચમાંથી તેની ધરપકડ થઈ હતી. બાંગ્લાદેશની વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ તેની પૂછપરછ શરૃ કરી હતી.
પોલીસના એક નિવેદનમાં કહેવાયું હતું કે હિંસાના મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરાશે. એ પછી તેની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ થશે. હિંસાના કારણ સુધી પહોંચવાના પ્રયાસો થશે અને પીડિતોને ન્યાય મળશે.