Pokમાં આઝાદી માંગતા લોકો પર પાકિસ્તાની પોલીસનો બેફામ લાઠીચાર્જ : બે લોકોના મોત
પાકિસ્તાની સેના અને સરકાર સામે લોકોનો પ્રચંડ રોષ
નવી દિલ્હી : . Pokમાં આઝાદી માગી રહેલા લોકોના ટોળા પર પાકિસ્તાની પોલીસે કરેલા બેફામ લાઠીચાર્જથી બે લોકોના મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું.
મુઝફ્ફરાબાદમાં આ લોકો દેખાવો કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની પોલીસે બેફામ લાઠીચાર્જ કરતાં બે માણસો માર્યા ગયા હતા અને અસંખ્ય લોકોને ઈજા થઈ હતી. ઓલ ઇન્ડિપેન્ડન્સ પાર્ટીઝ (AIPA)ના નેજા હેઠળ આ રેલી અને દેખાવો યોજાયા હતા. જેમાં સેંકડો લોકો સ્વેચ્છાએ જોડાયા હતા.
Pokમાં આરોગ્ય અને શિક્ષણ સેવા સાવ કથળી ગયેલી છે. થોડા સમય પહેલાં થયેલા ભૂકંપમાં ઘણા લોકો માર્યા ગયા હતા. ભૂકંપના પગલે કેટલીક સડકો સાવ તૂટી ફૂટી ગઇ હતી જેનું નવનિર્માણ થયું નથી. બીમારોને પૂરતી સારવાર મળતી નથી.
એક મહિના પહેલાં પખ્તુન પ્રજાએ પાકિસ્તાનની સરકાર સામે લડત જાહેર કરી હતી અને સડકો પર ઊતરી આવ્યા હતા. એ લોકો ઇમરાન ખાન અને પાકિસ્તાની લશ્કરી વડા બાજવા વિરોધી આંદોલન કરી રહ્યા હતા.
પાકિસ્તાની પોલીસ અને લશ્કરના અત્યાચારોથી ત્રાસીને સંખ્યાબંધ પખ્તુન લોકો દેશ છોડી ગચા હતા. પખ્તુન ઉપરાંત બલુચ , મુજાહિરો અને અન્ય લઘુમતી લોકો પણ પાકિસ્તાનથી ત્રાસેલા છે અને આઝાદી માગી રહ્યા છે