વિદેશમાં ગેરકાયદે મિલકતો : હજારો ભારતીયો રડાર પર
નવી દિલ્હી તા. ૨૩ : આવકવેરા ખાતાએ ભારતીયોના વિદેશમાં અનધિકૃત ફંડ તેમ જ મિલકતોના કેસમાં તપાસ હાથ ધરવા મોટું ઓપરેશન આદર્યું છે. આવા ઘણા કેસમાં નવો કાળા નાણાં-વિરોધી કાયદો દાખલ કરવામાં આવે અને કડક અપરાધિક પગલાં લેવામાં આવી શકે એમ છે, એમ સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું. આવકવેરા ખાતાએ વિદેશીઓની સાથે સુસંકલન સાધીને હજારો ભારતીયોની સાત સમંદર પારની બેન્ક ડિપોઝીટ અને મિલ્કતની ખરીદી બાબતે તપાસ આરંભી છે.
સીબીડીટીના અધ્યક્ષ સુશીલચંદ્રાએ આ હિલચાલની બાબતને પુષ્ટિ આપી છે પરંતુ વિસ્તારથી કંઈ પણ જણાવવાની ચોખ્ખી ના પાડી દીધી છે. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે કરવેરા અધિકારીઓની પાસે સૂત્રો દ્વારા અને ફાઇનાન્શિલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ) દ્વારા વિદેશમાં થયેલા નાણાકીય સોદા વગેરેની માહિતી મેળવે છે. કાળા નાણા સામેની મોટી ઝુંબેશનો આ એક હિસ્સો છે.