રેલવેને નવા ઇકોનોમી AC-3 કોચથી મબલક કમાણી
આ કોચનું ભાડું સામાન્ય એસી-૩ સર્વિસની તુલનાએ ૬-૭ ટકા સુધી ઓછું છે
નવી દિલ્હી,તા.૨૩: રેલવે આવક વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. રેલવેએ નવા ઇકોનોમી એસી-૩ કોચ (AC-3)થી પહેલા વર્ષે રૂ. ૨૩૧ કરોડની કમાણી કરી છે. આ કોચના પ્રારંભથી સામાન્ય એસી-૩ શ્રેણીના કોચથી થનારી કમાણીને કોઈ અસર નથી પડી. ઇકોનોમી એસી-૩ કોચ સસ્તી એર કન્ડિશનર રેલ યાત્રા સર્વિસ છે.
રેલવેએ ઇકોનોમી એસી-૩ કોચનો પ્રારંભ શયનયાન શ્રેણીના યાત્રીઓને સૌથી સારી અને સૌથી સસ્તી એસી યાત્રા સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે થઈ હતી. આ કોચનું ભાડું સામાન્ય એસી-૩ સર્વિસની તુલનાએ ૬-૭ ટકા સુધી ઓછું છે. ૨૧ લાખથી વધુ લોકોએ એસી-૩ ટિયર ઇકોનોમી શ્રેણીથી યાત્રા કરી, જેથી રેલવેએ ઓગસ્ટ, ૨૦૨૧થી ઓગસ્ટ ૨૦૨૨ના સમયગાળામાં રૂ. ૨૩૧ કરોડની કમાણી કરી હતી.
અધિકારીઓએ કહ્યું હતું કે આ કોચનો પ્રારંભ રેલવે માટે મુશ્કેલ હતો. રેલવે માટે એનું ભાડું નક્કી કરવું મુશ્કેલ હતું,કેમ કે ભાડું વધુ રાખવાનું નથી. ભાડું નક્કી કરવા માટે એ વાતનું ધ્યાન રાખવાનું હતું કે એસી-૩ ટિયરને નુકસાન ના થાય. જોકે એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૨ દરમ્યાન નવા ઇકોનોમી કોચથી ૧૫ લાખ લોકોએ યાત્રા કરી અને એનાથી રૂ. ૧૭૭ કરોડની કમાણી થઈ હતી.રેલવે અધિકારીઓનું માનવું છે કે આ પ્રયોગ સફળ રહ્યો છે. આ સમયગાળામાં સામાન્ય એસી-૩ શ્રેણીમાં યાત્રીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નહોતો. આ જ સમયગાળામાં સામાન્ય એસી-૩ શ્રેણીથી રેલવેને રૂ. ૮૨૪૦ કરોડની કમાણી કરી હતી. નવા એસી-૩ ઇકોનોમી શ્રેણીના કોચોમાં ૮૩ સીટો છે, જયારે સામાન્ય એસી-૩ કોચમાં ૭૨ સીટો હોય છે.