દેશનો એક પણ પૈસો દેશ બહાર મોકલ્યો નથી : સરકારી ખજાનાને કોઇ નુકસાન થયુ નથી: પી.ચિદંબરમનો દાવો
સીબીઆઇ દ્વારા લગાવેલા તમામ આરોપોને ચિદંબરમે નકાર્યા
નવી દિલ્હી:INX મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે દિલ્હી હાઇકોર્ટમાં દાવો કર્યો હતો કે, આ કેસમાં કોઇ પણ રોકડ દેશ બહાર મોકલવામાં આવી નથી. આ મામલે સરકારી ખજાનાને કોઇ નુકસાન થયુ નથી.
આ પહેલા પૂર્વ પીએમ મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પી. ચિદંબરમની જેલમાં મુલાકાત લીધી હતી.
ચિદંબરમ તરફથી કેસ લડી રહેલા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, ચિદંબરમે નાણામંત્રીના પદનો ઉપયોગ કરી અંગત લાભ માટે ક્યારેય નથી કર્યો. પોતાની જામીન અરજી પર સીબીઆઇના મંતવ્ય પર જવાબ આપતા તેમણે જણાવ્યું કે, તેમની વિરુદ્ધ પહેલેથી જ આઉટ લૂક નોટિસ જારી કરવામાં આવી છે અને હવે આરોપ યોગ્ય નથી કે તેઓ દેશમાંથી ભાગી જવાના ફિરાકમાં છે અને કાયદાકીય કાર્યવાહીથી બચવાના પ્રયત્ન કરી રહ્યા છે.
આ દરમિયાન તેમણે સીબીઆઇ દ્વારા લગાવેલા આરોપોને ખોટા ઠેરવ્યા હતા. તેમના મુજબ સમગ્ર કેસ રાજકીય ધૃણાના હેતુથી ઉભો કરવામાં આવ્યો હતો.
ઇન્દ્રાણીના નિવેદન પર સ્પષ્ટતા કરતા ચિદંબરમે જણાવ્યું હતું કે, તેઓ ભરોસાપાત્ર નથી, જે ભ્રષ્ટાચારના મામલામાં સરકારી સાક્ષી બની ગયા છે. સીબીઆઇ તેમની અને તેમના પતિ વિરુદ્ધ હત્યાના મામલે તપાસ કરી રહી છે.