આર્મી ચીફ કેન્દ્ર સરકાર માટે ચૂંટણી અભિયાન ચલાવી રહ્યાં છે : બાલાકોટ મામલે નિવેદનથી એનસીપી નેતાનો વિરોધ
દેશમાં બેરોજગારી અને મંદીનો માહોલ છે અને સરકાર બાલાકોટનો મુદ્દો ઉઠાવી રહી છે.
મુંબઈ : એનસીપી નેતા માજીદ મેમણે આર્મી ચીફ જનરલ બિપિન રાવતે બાલાકોટ અંગે આપેલા નિવેદનનો વિરોધ કર્યો છે તેમણે જણાવ્યુ હતુ કે, આર્મી ચીફ કેન્દ્ર સરકાર માટે ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અને ફરીવાર બાલાકોટ અને આર્ટિકલ 370નો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. મોદી સરકાર ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓની અવગણના કરે છે. દેશમાં બેરોજગારી અને મંદીનો માહોલ છે અને સરકાર બાલાકોટનો મુદ્દો ઉઠાવી રહી છે.
માજીદ મેમણે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે જનરલ બિપિન રાવતે જણાવ્યુ હતુ કે, બાલાકોટમાં ફરીવાર આતંકવાદી સક્રિય થયા છે. પાકિસ્તાન સીઝફાયરની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે.
અત્રે ઉલેલ્ખનીય છે કે આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કહ્યુ કે, પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગને વળતો જવાબ આપવાનું સારી રીતે જાણે છે. પાકિસ્તાને ફરીવાર બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પ શરૂ કર્યા છે. આ કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. અને જૈશના અનેક આતંકવાદીઓને ઠાર કર્યા હતા.