કૌશલ્ય વિકાસ પર મૂકાશે ભાર
''મનરેગા''ને વ્યાપક બનાવાશેઃ નિયમો બદલાશેઃ ૪૫ દિ'નો ક્રેશ કોર્સઃ ભથ્થુ પણ મળતુ રહેશે
નવી દિલ્હી તા.૨૩: મનરેગાના નિયમોમાં ફેરફાર કરીને તેને વ્યાપક બનાવવા બાબતે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. મનરેગમાં બુનિયાદી રૂપે અકુશળ કારીગરોની જોગવાઇ હતી તેમાં ફેરફારની યોજના સરકાર બનાવી રહી છે. કેન્દ્ર સરકારના ગ્રામ્ય વિકાસ મંત્રાલયની યોજના છે કે મનરેગા હેઠળ કામ કરતા અકુશળ મજૂરોના કોશલ્યનો વિકાસ કરવામાં આવે. યોજના હેઠળ મંત્રાલય મનરેગાના મજૂરોને ટ્રેનિંગ આપશે. આ પહેલા ટ્રેનિંગ દરમ્યાન તેમને ન તો કામ મળતું હતું. ન તો ભથ્થુ, પણ હવે તેમાં ફેરફાર કરાઇ રહ્યો છે.
મંત્રાલય સાથે સંકળાયેલા સુત્રો અનુસાર, સરકારની યોજના એવી છે કે મનરેગાના મજૂરો માટે નાની મુદ્દતના ટ્રેનિંગ કાર્યક્રમ અથવા ક્રેશ કોર્સ શરૂ કરવામાં આવે, જેમાં તેમને મિસ્ત્રી, રાજમિસ્ત્રી, પ્લંબર, માળી જેવા કામની આપીને કશળ બનાવવામાં આવે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ક્રેશ કોર્સ ૪૫ દિવસનો હશે. મંત્રાલય શરૂઆતમાં પાઇલોટ પ્રોજેકટ હેઠળ તેને કેટલાક રાજયોની ગ્રામ પંચાયતોમાં ચલાવશે. ત્યાંથી મળેલા ફીડબેક પછી તેને અમલી બનાવાશે. ચર્ચા એવી પણ છે કે પાઇલોટ પ્રોજેકટની શરૂઆત જમ્મુ કાશ્મીર, ઉત્તરા ખંડ અને પુર્વોતર જેવા પહાડી રાજયોથી થઇ શકે છે.
એવું જણાવાઇ રહ્યું છે કે આ યોજના હેઠળ અકુશળ મજુરોને તેમની રૂચી અને યોગ્યતા મુજબ ટ્રેનિંગ આપીને તેમને કુશળ બનાવવામાં આવશે. જો કે શરૂઆતમાં આ યોજના સ્વૈચ્છિક રહેશે. સમયાંતરે તેના વ્યાપમાં બધાને લાવવાની યોજના છે. ઉલ્લેખનિય છે કે આ યોજનાને મૂર્તિમંત બનાવવા માટે ગ્રામ્ય વિકાસ મંત્રાલયે બધા રાજયોમાંથી મનરેગા મજૂરોના આંકડા મંગાવ્યા છે. ૨૦૧૮ના આંકડાઓ અનુસાર દેશમાં ૧૩ કરોડથી વધારે મનરેગા મજૂરો રજીસ્ટર્ડ થયેલા છે