મુખ્ય સમાચાર
News of Friday, 23rd August 2019

ભાજપના રાષ્ટ્રવાદને હંફાવવા OBC કાર્ડ ખેલવા કોંગ્રેસની યોજના

કોંગ્રેસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં OBC વર્ગ માટે અનામતનો કવોટા વધારતા અનેક પ્રકારની ચર્ચા વ્હેતી થઇ : મહારાષ્ટ્ર-હરિયાણા-ઝારખંડમાં હવે ચૂંટણી યોજાવાની છે ત્યાં કોંગ્રેસ અનામત કવોટા વધારવાનું વચન આપી શકે છે

નવી દિલ્હી, તા. ર૩ : કોંગ્રેસ શાસિત બે રાજયો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઓબીસી વર્ગ માટે અનામત કવોટા વધારી દેવાયો છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જયારે દેશ એક પ્રકારે કોંગ્રેસ મુકત શાસન તરફ આગળ વધી રહ્યો છે. દેશના ફકત પ રાજયોમાં કોંગ્રેસની સરકાર છે. કહેવામાં આવે છે કે બીજા કોંગ્રેસ શાસિત રાજયોમાં પણ ઓબીસી અનામતનો કવોટા વધારવાનો દાવ ખેલી શકાય છે કેમ કે તેના દ્વારા ભાજપાનો મુકાબલો કરવાનો આ કોંગ્રેસનો રાષ્ટ્રીય દાવ છે જેની અસર રાષ્ટ્રીય રાજકારણ પર પડવાની શકયતા કોંગ્રેસને દેખાઇ રહી છે. કોંગ્રેસના રણનીતિકારોને લાગે છે કે તેમની રાજય સરકારોનો આ નિર્ણય પક્ષ માટે સંજીવની સાબિત થઇ શકે તેમ છે. ઓબીસી વર્ગની નિર્ણાયક ભૂમિકા જોતા કોંગ્રેસ ભાજપાના રાષ્ટ્રવાદ સામે લડવા માટેનો આ એક માર્ગ હોવાનું માની રહી છે. કોંગ્રેસ માટે આજની તારીખે સૌથી મોટી મુશ્કેલી એ છે કે મોટા ભાગના રાજયોમાં તેની પાસે પાયાની વોટબેન્ક નથી રહી. એટલે તે ઓબીસીને પોતાની નવી વોટબેંક બનાવવા માંગે છે.

 

સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલ કોંગ્રેસ જયારે પોતાની વાપસી માટે બધા વિકલ્પો તપાસી રહી છે તો તેની પાસે એક વિકલ્પ એ હતો કે તે બીજેપી પાસેથી ઉચ્ચ જ્ઞાતિના મતો ખેંચવાનો પ્રયત્ન કરે પણ તેના રણનીતિકારોને એવું લાગ્યું કે ઉચ્ચ જ્ઞાતિઓ પર દાવ ખેલવાનું અત્યારે ફાયદાકારક નહીં બને કેમ કે તેમને ભાજપામાંથી છટકાવવાનું અત્યારે કોઇ સંભાવના નથી. આમ પણ ભાજપા શરૂઆતથી જ ઉચ્ચ જ્ઞાતિનો પક્ષ ગણાય છે અને અત્યારે તેનો સુવર્ણયુગ ચાલે છે ત્યારે તેના પરંપરાગત મતદારો તેનો સાથ છોડે તે શકયતા દેખાતી નથી.

 

દલિત + મુસ્લિમનું કાર્ડ ઉતરવું તેના માટે વધારે જોખમકારક બની શકે તેમ છે કેમ કે હાલની પરિસ્થિતિઓ તેને કોઇપણ કિંમતે મુસ્લિમ હિતેચ્છુ દર્શાવવાની છૂટ નથી આપતી. ર૦૧૪માં સત્તાથી દૂર થયા પછી તેની આંતરિક સમિતિનો જ રિપોર્ટ છે કે હાર પાછળનું સૌથી મોટુ કારણ લઘુમતિઓ ખાસ કરીને મુસલમાનો માટે વધારે પડતું ચિંતીત થવું બહુમતી હિન્દુઓને તેનાથી દૂર કરી ગયું. ભાજપાને પણ આજ કારણે ધાર્મિક આધારની મદદ મળી. આ બધી પરિસ્થિતિ જોતા અત્યારે કોંગ્રેસ માટે ઓબીસી કાર્ડ જ વધારે ફાયદાકારક લાગે છે. કોંગ્રેસ આના દ્વારા ઓબીસીને એવો સંદેશ પહોંચાડવાની કોશિષમાં છે કે જે રાજયોમાં તેની સરકાર છે ત્યાં તો તેણે તેમનો અનામત કવોટા વધારી જ દીધો અને બીજા રાજયોમાં જો તેમને સરકાર બનાવવાની તક મળશે તો ત્યાં પણ એવું કરી શકે છે. (૮.૬)

(11:50 am IST)