ખેડૂતો રસ્તા પર બેઠા છે, યોગ્ય ઉકેલ જરૃરીઃ નવજોત સિધ્ધુ
અધ્યક્ષપદ સંભાળતાં જ સિધ્ધૂની ત્રાડ
ચંદિગઢ, તા.૨૩ : પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વ્યાપેલું સંકટ અમુક હદે ઘટી રહેલું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે સવારે પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યુ હતું.
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જણાવ્યું કે, આજે દેશનો ખેડૂત દિલ્હીના રસ્તાઓ પર ધરણા ધરી રહ્યો છે, આ સૌથી મોટી સમસ્યા છે. કાર્યકર્તાના વિશ્વાસમાં ભગવાનનો અવાજ છે, અમે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીશું. શા માટે ચોરોની ચોરી પકડાઈ ન જાય અને શા માટે મોંઘી વીજળી ખરીદવામાં આવે?
આ દરમિયાન કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમના સાથે ઉપસ્થિત હતા અને તમામ કાર્યકરો વચ્ચે બંનેએ મંચ શેર કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, જ્યારે સોનિયા ગાંધીએ તેમને જણાવ્યું કે તેઓ નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવા ઈચ્છે છે ત્યારે મેં કહ્યું હતું કે હું તમારા નિર્ણયનું સ્વાગત કરીશ. હું અને નવજોત સિંહ સિદ્ધુ સાથે કામ કરીશું.