મોદી સરકારે ચીન સામેની રણનીતિ બદલાવી
ટકરાવની શકયતાઓમાં વધારોઃ તાઇવાન સાથે સંબંધો વધારવાની કવાયત
નવી દિલ્હીઃ તાઇવાનમાં સાઇ ઈંગ-વેેને બુધવારે જ્યારે બીજીવાર રાષ્ટ્રપતિ પદના શપથ લીધા તો સમારંભમાંભાજપના બે સાંસદોનો સંદેશ પણ દેખાડવામાં આવ્યો હતો. તાઇવાનના રાષ્ટ્રપતિ અભિનંદનનો સંદેશ આપનાર ૪૧ દેશોના પ્રતિનિધીઓમાં ભાજપના આ બંન્ને સાંસદો પણ સામેલ છે. ભારત કાયમ તાઇવાન બાબતે બૈજીંગની વન ચાઇના પોલીસની સ્વીકારતુ રહ્યુ અને તેની સાથે કોઇ પ્રકારના કૂટનિતીક સંબંધો સ્થાપિત નથી કર્યા પણ હવે આ નિતીમાં ફેરફારના સંકેતો મળતા દેખાઇ રહ્યા છે. તાઇવાનને ચીન 'એક દેશ , બે સીસ્ટમ' નો ભાગ ગણે છે જ્યારે તાઇવાન પોતાને સ્વતંત્ર ગણાવે છે. હોંગકોંગ પણ આ સિસ્ટમ હેઠળ ચીનનો ભાગ છે.
ભારતને હંમેશા એ ચિંતા રહે છે કે તાઇવાન સાથેની નજીકતા ચીન સાથેના સંબંધો બગાડી શકે છે. ૨૦૧૬માં સાઇના શપથ ગ્રહણમાં સમારંભ વખતે ભારતે છેલ્લી ઘડીએ બે સાંસદોને મોકલવાનો નિર્ણય કર્યો હતો. ૧૯૪૯માં ચીની ગૃહયુદ્ધ પછીથી તાઇવાન સંપૂર્ણપણે સ્વાશાસિત રહ્યો છે. તાઇવાન પોતાને સ્વતંત્ર ગણાવે છે તો ચીન તેને પોતાનો એક પ્રાંત ગણાવીને 'એક દેશ , બે વ્યવસ્થા' હેઠળ પોતાનામાં ભેળવી દેવાની કોશિષ કરતુ રહ્યુ છે.
ચીન સરકારના મુખપત્ર કહેવાતા ગ્લોબલ ટાઇમ્સે એક લેખમાં કહ્યુ હતુ કે ભારત ચીનની જગ્યા લેવાના સપના જોઇ રહ્યુ છે. તેના જવાબમાં ભાજપા સાંસદ મીનાક્ષી લેેખીએ ટ્વીટમાં ચીન પર જોરદાર નિશાન તાકતા કહ્યુ કે ચીનની સામ્યવાદી પાર્ટીની જ્ગ્યા લેવાની વાત છે તો અત્યારે એવું કરવાની કોઇ જરૂર નથી કે ન તો અમારી એવી કોઇ ઈચ્છા છે. વૈશ્વિક ઈતિહાસમાં ભારતનું પોતાનું એક સ્થાન છે અને તે ત્યાં જ રહેવા માગે છે.