રિઝર્વ બેંકે લોન સસ્તી કરતા
થાપણો પર મળતું રિટર્ન ઘટવાની સંભાવના
સૌથી મોટો ગેરફાયદો સિનિયર સીટીઝનને થશે
નવી દિલ્હી તા. ૨૩ : ભારતીય રિઝર્વ બેંકે કોરોના સંકટના આ સમયે લોન સસ્તી કરવા માટે ફરીથી એકવાર રેપો રેટમાં ૪૦ બેઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આરબીઆઇએ રેપોરેટ ૪.૪ ટકાથી ઘટાડીને ૪ ટકા કરી નાખ્યો છે. નાણાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી લોન લેવી તો સસ્તી થશે પણ ડીપોઝીટો પર મળનાર રિટર્ન ઘટી જશે. બેંકો સામાન્ય લોકોને સસ્તી લોન આપવા માટે એફડી પર વ્યાજ ઘટાડશે. તેના લીધે એફડી કરનારા રોકાણકારોનું રિટર્ન ઘટશે.
સેબી રજીસ્ટર્ડ ફાઇનાન્સીયલ પ્લાનર જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે એફડી પર મળનાર રિટર્ન ઘટી ગયું છે. તેના કારણે તેના પર મળતું વ્યાજ મોંઘવારી કરતા નકારાત્મક છે. આ સંજોગોમાં રોકાણકારો પાસે પીપીએફ, સુકન્યા સમૃધ્ધિ, એસઆઇપી દ્વારા મ્યુચ્યલફંડ અને ઇએલએસ સારા વિકલ્પો છે. તેમાં રોકાણકારો પોતાના લક્ષ્ય અનુસાર રોકાણ કરી શકે છે. લાંબાગાળામાં આમાંથી એક પણ રોકાણમાં વધારે જોખમ નથી અને રોકાણકારોને તેમના રોકાણ પર એફડીથી વધારે રિટર્ન મળી શકે છે.
ભારતમાં કરોડો સીનીયર સીટીઝન એફડીમાંથી મળતા વ્યાજની આવક પર નિર્ભર છે. બેંકોએ એફડી પરના વ્યાજ ઘટાડતા તેમની આવક પર ખરાબ અસર પડી છે.