મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

ફૂટશે મોંઘવારીનો બોંબ : જીએસટી ઉપર સેસ ઝીંકવાની તૈયારી

કોરોનાના કાળમાં ખર્ચને પહોંચી વળવા સરકાર જીએસટી પર કેલેમીટી સેસ એટલે કે આપદા ઉપકર લગાવવા વિચારે છેઃ પ્રસ્તાવ નાણાંમંત્રીના ટેબલ ઉપર

નવી દિલ્હી તા. ૨૩: કોરોના વાયરસની મહામારીથી ઉપજેલા આર્થિક સંકટને નિપટવા માટે કેન્દ્ર સરકાર ગુ્ડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) પર કેલેમીટી સેસ (વિપદા ઉપકર) લગાવવા વિચાર કરી રહી છે. અત્રે એ નોંધનીય છે કે કેરળમાં ૨૦૧૮માં  આવેલા પુર પ્રકોપ બાદ ગયા વર્ષે ત્યાંની સરકારે પણ આફત-વિપદા રાહત ઉપકર લગાવ્યો હતો.  સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જીએસટી થકી વધારાની આવક મેળવવા માટે આ અંગેનો પ્રસ્તાવ નાણાંમંત્રીના ટેબલ પર મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં જીએસટીના પ% વાળા સ્લેબને આનાથી અલગ રાખવામાં આવ્યા છે.

આ અંગે ઈન્ડિયન એકસપ્રેસ દ્વારા આસામ અને કેરળના નાણાંમંત્રીઓનો સંપર્ક સાધવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે આ વિચાર યોગ્ય નથી કારણ કે ઉદ્યોગ જગત  પહેલેથી  જ સંકટનો સામનો કરી રહી છે. સૂત્રોએ જણાવ્યુ છે કે જીએસટીમાં કેલેમીટી સેસ એટલે કે આપદા ઉપકર લગાવવાનો મુદ્દો જીએસટી પરિષદની બેઠકમાં ઉઠાવવામાં આવશે થોડા સમયમાં જ આ બેઠક યોજાવવાની છે.

અત્રે નોંધનીય છે કે કેરળ એકમાત્ર રાજ્ય છે જેને બંધારણની કલમ ૨૭૯-એ ની પેટા કલમ  ૪-એફનો ઉપયોગ કરી આ પ્રકારનો ઉપકર લગાવ્યો છે. જે કોઇપણ કુદરતી આફત દરમ્યાન વધારાના સંસાધનોની વૃદ્ધી માટે નક્કી કરેલા ગાળા માટે ખાસ દર કે દરોને સંદર્ભિત કરે છે. જીએસટી એકટ ૨૦૧૭માં  કોઇ અન્ય આપૂર્તિ પર  ૧૫% એડવાલેરમના દરથી ઉપકર લગાવવાની જોગવાઇ છે. ઉદા. તરીકે કેરળે ૧લી ઓગષ્ટ ૨૦૧૯થી ૨ વર્ષ માટે જીએસટી પર ૧%નો ઉપકર લગાવવાનો શરૂ કર્યો છે જે જીએસટીના ૧૨%, ૧૮% અને ૨૮%ના સ્લેબ પર લાગે છે.

આ અંગે આસામના નાણામંત્રી હેમંત  શર્માનો સંપર્ક કરાતા તેમને કહ્યુ હતુ કે આ પ્રકારનો ઉપકર લગાવવાની આ સ્થિતી નથી. તેઓ જીએસટી કાઉન્સિલના સભ્ય પણ છે. તેમણે કહ્યુ હતુ કે ઉદ્યોગો અત્યારે આ પ્રકારની સેસ સહન કરવાની સ્થિતીમાં નથી. ઉદ્યોગોની હાલત ખરાબ છે. અને પહેલેથી જ પગાર કાપ અને છટણી ચાલુ છે. જોકે તેમણે કહ્યુ હતુ કે કેટલીક વસ્તુઓ   જેમકે દારૂ અને તમ્બાકુ પ્રોડકટ ઉપર આ પ્રકારની સેસ લાગી શકાય છે. જે ૬ થી ૭ મહિના સુધી અમલી બની શકે છે. તેમણે ઉમેર્યુ હતું કે  સ્થિતી જેમ સુધરશે તેમ રાજ્યોની આવક પણ વધતી જશે. પહેલા ૨૦% હતી હવે ૫૦% થઇ છે અને આવતા મહિને ૮૦% થઇ જશે.

આ અંગે કેરળના નાણામંત્રી થોમસ ઈશાકના કહેવા મુજબ અત્યારે રાજ્યો જીએસટી મેળવી શકતા નથી તો વધારાની સેસ કેવી રીતે મેળવી શકસે.તેમણે કહ્યુ હતુ કે એક જ રસ્તો છે કે કોર્પોરેટ જગતને અપાયેલ રાહતો પાવછી ખેંચી લેવામાં આવે અને કેન્દ્રએ રીઝર્વ બેંક પાસેથી ફંડ લઇ રાજ્યોને આપવું જોઇએ.

દરમ્યાન સૂત્રોએ જણાવ્યા પ્રમાણે જીએસટી કાઉન્સિલની બેઠક ત્યારે જ યોજાશે કે જ્યારે  કેન્દ્ર સરકાર રાજ્યોની  વળતરની પેન્ડિંગ માંગણીઓનો યોગ્ય પ્રત્યુતર આપવા માટે તૈયાર હોય.ડિસેમ્બર થી માર્ચ  સુધીનું તમામ રાજ્યોને વળતર આપવાનું બાકી છે.

(3:03 pm IST)