ISIના પૂર્વ પ્રમુખનો ઘટસ્ફોટ : હુર્રિયતનું નિર્માણ અમે કર્યું
મોહમ્મદ અસદ દુર્રાનીએ કબૂલાત કરી છે કે કાશ્મીર ખીણમાં ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સે જ કાશ્મીર ખીણમાં હુર્રિયતના બીજ વાવ્યા
ઇસ્લામાબાદ તા. ૨૨ : પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ અસદ દુર્રાનીએ કબૂલાત કરી છે કે કાશ્મીર ખીણમાં ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સે જ કાશ્મીર ખીણમાં હુર્રિયતના બીજ વાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હુર્રિયત કોન્ફરન્સ મામલે આ પહેલું કબૂલનામું છે. દુર્રાની ૧૯૯૦થી ૧૯૯૨ સુધી આઈએસઆઈના પ્રમુખ હતા.
આ સમયગાળા દરમિયાન કાશ્મીર ખીણમાં મોટા પ્રમાણમાં આતંકવાદી હિંસાચાર જોવા મળ્યો હતો. દુર્રાનીએ કહ્યુ છે કે આંદોલનને એક રાજકીય દિશાન આપવા માટે હુર્રિયતની રચના એક સારો વિચાર હતો. દુર્રાની હુર્રિયતની રચનાનો સેહરો પોતાના માથે ભલે બાંધી રહ્યા હોય પણ હુર્રિયત કોન્ફરન્સને ખુલ્લી છૂટ આપવાનો તેમને અફસોસ છે.
ગુપ્તચર સંસ્થાઓ અને તેના કારનામાઓ પર આધારીત પુસ્તક સ્પાય ક્રોનિકલ્સ રો, આઈએસઆઈ અને ધ ઈલ્યુશન ઓફ પીસમાં પત્રકાર આદિત્ય સિંહા સાથે દુર્રાની અને રોના ભૂતપૂર્વ પ્રમુખ એ. એસ. દુલાતની ચર્ચામાં આ મામલો ઉજાગર થયો છે. દુર્રાનીના આઈએસઆઈ ચીફ તરીકેના કાર્યકાળ વખતે દુલાત ભારતના ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં સંયુકત નિદેશક તરીકે કાશ્મીરમાં તેનાત હતા.
જો કે પાકિસ્તાને દાવો કર્યો છે કે હુર્રિયત અથવા કાશ્મીરના અન્ય ભાગલાવાદી જૂથો સાથે તેનો સંપર્ક નહીં હોવાના ખોટા દાવાઓ પણ કરવામાં આવ્યા છે. ગિલગિતી, સૈયદ સલાઉદ્દીન અને હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓ હજી પણ ફાલીફૂલી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ અધિકારી દુલાતનું કહેવું છે કે કાશ્મીરમાં પાકિસ્તાનનો રસ વધુ એક વખત વધતો દેખાઈ રહ્યો છે.
ગત ત્રણ વર્ષોમાં અનિશ્ચિતતાની સ્થિતિઓને કારણે આમ થઈ રહ્યું છે. તેમણે કહ્યુ છે કે હુર્રિયત પાકિસ્તાની ટીમ છે. ઈન્ડિયાની પોતાની ટીમ છે. પાકિસ્તાનની પતાની ટીમ છે અને આ તમામ વચ્ચે કાશ્મીરીઓ પિસાઈ રહ્યા છે.