મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

કોરોના સંક્રમણ સિઝનલ વાયરલની જેમ રહેશે : નિષ્ણાતો

કોરોનાથી જલ્દી પીછો નહિ છુટે : લાંબી લડાઇ લડવી પડશે : ૨-૩ વર્ષની તૈયારી કરવી પડશે

જ્યાર સુધી વાયરસનો ખાતમો કરતી ઓરલ દવા નહીં મળે, વિશ્વ આખુ કોરોના સામે ઝઝૂમતુ રહેશે

નવી દિલ્હી,તા.૨૩: ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ઓકિસજન અને દવાઓના અછતના પડકારો ઉભા થયા છે. જેની સામે કેન્દ્ર અને રાજય સરકારો ઝઝૂમી રહી છે. એવામાં ભારતની પરિસ્થિતિને લઇને આરોગ્ય નિષ્ણાંતોનું માનવુ છે કે ભારતે ઓછામાં ઓછી બેથી ત્રણ વર્ષ સુધી કોરોના વિરુદ્ઘ જંગ લડવાની તૈયારી કરવી પડશે.

આરોગ્ય નિષ્ણાંતોનું માનવુ છે કે જયાં સુધી દેશમાં એવી ઓરલ દવા ઉપલબ્ધ નહીં થાય જે વાયરસને ખતમ કરે ત્યાં સુધી દેશે લાંબી લડાઇ લડવી પડશે. તેમના મત મુજબ ભારતે આ માટે ૨ થી ૩ વર્ષની તૈયારી કરવી પડશે, કારણકે આ મહામારી એક વાયરલ બીમારીની જેમ રહેશે એવી સંભાવના છે. અહીં સુધી કે આગામી વર્ષોમાં કોરોના વાયરસ જોરદાર પ્રહારો કરે એવી આશંકાઓને પણ નકારી શકાય એમ નથી.

આરોગ્ય નિષ્ણાંતોએ વર્તમાન સ્થિતિને લઇને સલાહ આપી છે કે, કોવિડ ગાઇડલાઇન જેમ કે માસ્કનો ફરજીયાત ઉપયોગ, હાથ ધોતા રહેવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોને જીવનના એક ભાગ બનાવી લેવો જોઇએ. જેથી એકહદ સુધી આ ઘાતક સંક્રમણ સામે રક્ષણ મેળવી શકાય.

આ દરમિયાન કેટલાક આરોગ્ય નિષ્ણાંતોનું માનવુ છે કે, કોરોના મહામારી સામે કોઇપણ દેશ માટે એકમાત્ર વિકલ્પ રસીકરણ છે. જેથી મહમારીની ગંભીરતાને અટકાવી શકાય.

નોંધનીય છે કે, દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર દ્યાતક સાબિત થઇ છે, જેના ભરડામાં સમગ્ર દેશ બેહાલ બન્યો છે. દેશમાં દૈનિક સ્તરે સંક્રમણના નવા કેસ અને સંક્રમણથી થતાં મૃત્યુદરમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં નિષ્ણાંતોની આ ચેતવણી આવનારા કપરા સમયના સંકેત આપી રહી છે.

(10:10 am IST)