સર્જીકલ સ્ટ્રાઇકથી થયેલા મોતના આંકડા માંગનાર સામ પિત્રોડાના નિવેદનને વખોડી કાઢતા OFBJP આગેવાનોઃ આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાનને જવાબદાર નહીં ગણવાનું કોંગ્રેસના અગ્રણી નેતાનું નિવેદન દેશ તથા સૈન્ય માટે જોખમી હોવાનું જણાવ્યું
(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : તાજેતરમાં ઓવરસીઝ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન તથા રાહુલ ગાંધીના વિશ્વાસેુ ગણાતા સામ પિત્રોડાએ સર્જીકલ સ્ટ્રાઇકથી કેટલા મોત થયા તેના આંકડા માંગતા તેમના આ શરમજનક નિવેદનને OFBJP યુ.એસ.ના હોદ્દેદારોએ વખોડી કાડ્યું છે તથા જણાવ્યું છે કે સામ પિત્રોડાએ પુલવામા ખાતે આતંકવાદીઓએ કરેલા આત્મઘાતી હૂમલાથી માર્યા ગયેલા CRPF જવાનોનો બદલો લેવા ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર કરેલી સર્જીકલ સ્ટ્રાઇકથી થયેલા મોતના આંકડાઓ માંગવા ઉપરાંત ૨૦૦૮માં ૨૬ નવે.ના રોજ મુંબઇ મુકામે થયેલા આતંકવાદી હુમલા માટે પણ પાકિસ્તાનને દોષિત ગણવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાનમાં અડ્ડા ધરાવતા આતંકવાદી સંગઠનો દ્વારા આવા હુમલાઓ થયા કરે તો પણ તે માટે સમગ્ર પાકિસ્તાન દેશને જવાબદાર ન ગણવો જોઇએ તેવું શરમજનક નિવેદન એક ઇન્ટરવ્યુમાં કર્યુ છે.
સાથોસાથ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ હેઠળના અન્ય વિરોધ પક્ષો તથા સમાજવાદી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષોએ પણ શરમજનક નિવેદનો કરી દેશના સુરક્ષા દળ ઉપર શંકા કરવાનું હીન કૃત્ય કર્યુ છે. જેઓનો એકમાત્ર મકસદ બીજેપીનું નેતૃત્વ ધરાવતા NDAનો વિરોધ કરવાનો છે. આવા નિવેદનો દેશની પ્રતિષ્ઠા તથા સલામતી ઉપર પ્રહાર કરનારા છે.
આ અંગે OFBJP યુ.એસ.એ. પ્રેસિડેન્ટ શ્રી ક્રિશ્ના રેડ્ડી, વાઇસ પ્રેસિડન્ટ ડો. અડાપા પ્રસાદ તથા જનરલ સેક્રેટરી ડો. વાસુદેવ પટેલએ સામ પિત્રોડાના બેજવાબદાર નિવેદનોનો સખ્ત વિરોધ કર્યો છે તેમજ રાષ્ટ્રીય કક્ષાની રાજકીય પાર્ટી કોંગ્રેસના જવાબદાર ગણાતા આગેવાનોની હીન માનસિકતા સમગ્ર દેશ તથા સૈન્ય માટે જોખમી હોવાનું જણાવ્યું છે. તેવું શ્રી વાસુ પટેલની યાદી જણાવે છે.