કાશ્મીરમાં એકાઉન્ટર પત્યું, હવે ગુમ જવાનનું સર્ચ-ઓપરેશન શરૂ થયું
પાંચેય ટેરરિસ્ટ લશ્કર-એ-તય્યબા સાથે સંકળાયેલા છે
એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા જવાનોને પુષ્પાંજલી આપવાની વિધિ ગઇકાલે શ્રીનગર પોલીસ હેડકવાર્ટરમાં યોજાઇ હતી. જે તસ્વીરમાં દર્શાય છે.
શ્રીનગર, તા. ર૩ : કાશ્મીરમાં કુપવાડામાં છેલ્લા ૪૮ કલાકથી ચાલતા એન્કાઉન્ટરનો ગઇકાલે અંત આવ્યો હતો અને એમાં લશ્કર-એ-તય્યબાના પાંચ શંકાસ્પદ ટેરરિસ્ટ મૃત્યુ પામ્યા હતા. આ પાંચેય વિદેશી હોવાનું પોલીસે કહ્યું હતું. એન્કાઉન્ટર દરમ્યાન ગુમ થયેલા આર્મીના એક જવાનને શોધવાનું ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં આર્મીના ત્રણ જવાન અને બે પોલીસ મળી પાંચ જવાનો શહીદ થયા છે.
પોલીસે કહ્યું હતું કે આ વિદેશી ટેરરિસ્ટો અંકુશ રેખા ઓળંગી આઠ કિલોમીટર અંદર આવી ગયા હતા. એક પોલીસ-પાર્ટીની નજર તેમના પર પડી અને એન્કાઉન્ટરની શરૂઆત થઇ હતી. આ આતંકવાદીઓ મંદિરમાં છુપાયેલા હતા અને જેવી પોલીસની નજર તેમના પર પડી કે તેઓ જંગલ તરફ ભાગ્યા હતા. એન્કાઉન્ટરમાં પહેલા ચાર ટેરરિસ્ટ માર્યા ગયા હતા અને પાંચમો પર્વતની ઉંચાઇ પરથી ગોળીબાર કરતો હતો. આ પાંચમાં ટેરરિસ્ટને બુધવારે સાંજે ખતમ કરવામાં આવ્યો હતો.