પાકિસ્તાનના રાષ્ટ્રદિન અગાઉ પાક રાજદૂત ભારત પરત ફરશે
ઇસ્લામાબાદ તા. ૨૩ : એકમેકના દેશના રાજદૂતોની કરવામાં આવતી હેરાનગતિને મામલે બંને દેશ વચ્ચે સર્જાયેલા ભારે વિવાદને પગલે સલાહમસલત કરવા સ્વદેશ પાછા બોલાવી લેવામાં આવેલા ભારતસ્થિત પાકિસ્તાનના રાજદૂત સોહેલ મહેમૂદ ભારત પાછા ફર્યા છે એમ અધિકારીઓએ કહ્યું હતું.
વિદેશ ખાતાના પ્રવકતા ડો. મહમૂદ ફૈઝલે કહ્યું હતું કે સ્વદેશ પાછા ફરેલા પાકિસ્તાનના રાજદૂત સલાહમસલત માટે થોડા દિવસ ત્યાં રોકાયા હતા અને વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી અને ભારતમાં પાક રાજદૂતોની કરવામાં આવતી હેરાનગતિ ઉપરાંત અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. હવે તેઓ ભારત પાછા ફરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. સવારે પાકિસ્તાનના રાજદૂત ઝંડો પણ ફરકાવશે અને ભાષણ પણ આપશે, એમ તેમણે કહ્યું હતું.
ભારત અને પાકિસ્તાન બંનેએ એકમેક પર તેમના રાજદૂતોની હેરાનગતિ કરવાનો આક્ષેપ કર્યો હતો.