મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

જીએસટીના વિરોધમાં ૨૬મીએ ભારત બંધનું એલાન

જો કે અમુક સંગઠનોએ ધંધા ચાલુ રાખી વિરોધ દર્શાવવા અપીલ કરીઃ વેપારીઓ પણ મુંઝાયા શું કરવુ ?

અમદાવાદઃ જીએસટીના અમલને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે તેમ છતાં જીએસટીના પોર્ટલની ક્ષતિઓને કારણે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. જીએસટીનો કાયદો બદલવો, પોર્ટલ ક્ષતિરહિત બનાવવું તથા વેપારીઓના પડતર પ્રશ્નોના નિકાલની માંગણી સાથે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT ) દ્વારા ૨૬મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ બંધના એલાનમાં દેશભરના વેપારી સંગઠનો અને વેપારીઓ જોડાયા હોવાના CAIT દ્વારા દાવા થઈ રહ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયા વેપાર મહામંડળે જીએસટીનો વિરોધ કરવાનો પરંતુ દુકાનો કે વેપાર, ધંધા ચાલુ રાખીને તેમ જણાવ્યું છે. એટલે કે ભારત બંધમાં દુકાનો ખુલ્લી રાખવાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેથી સામાન્ય દુકાનદારો દ્વિધામાં છે કે ૨૬મી ફેબ્રુઆરીએ દુકાનો ખુલ્લી રાખવી કે બંધ ?

CAIT ના પ્રમુખ મહેન્દ્ર શાહે જણાવ્યું હતું કે જીએસટીના અમલ શરૂ થયો ત્યારથી વેપારીઓની પરેશાની વધી છે. અત્યાર સુધીમાં જીએસટીના કાયદામાં ૯૦૦થી વધુ ફેરફાર કરવામાં આવ્યા છે તેમ છતાં કાયદો સરળ બન્યો નથી. કાયદો સરળ અને વેપારીઓને તકલીફ પડે નહીં તેવો બનાવવાની માંગણી સાથે CAIT  દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ એલાનમાં દેશભરના ૮ કરોડથી વધુ નાના- મોટા વેપારીઓ અને ટ્રેડર્સ જોડાશે. બીજી તરફ, ફેડરેશન ઓફ ઈન્ડિયા વેપાર મહામંડળના જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે બજેટમાં ખુદ નાણામંત્રીએ જીએસટીની ક્ષતિઓ સ્વીકારી હતી અને તેને સુધારવાની વાત કરી છે ત્યારે દુકાનો અને બજાર બંધ રાખી વેપારીઓને નુકસાન કરાવવાના બદલે દુકાનો ચાલુ રાખી જીએસટીનો વિરોધ કરવો જોઈએ એન જીએસટીનો નવો કાયદો બનાવવામાં વેપારી સંગઠનોએ અધિકારીઓને સરકારનો સહયોગ કરવો જોઈએ.

(11:00 am IST)