અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી
ત્રાસવાદીઓનો સફાયો કરો નહિતર ગંભીર પરિણામો માટે તૈયાર રહો
વોશિંગ્ટન તા. ૨૨ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ભારત મુલાકાતના બરાબર પહેલાં વ્હાઇટ હાઉસે પાકિસ્તાનને લઇ મોટું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ સતત ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો કરવાને લઇ કોશિષ કરી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીએ સાથો સાથ એમ પણ કહ્યું કે બંને દેશોની વચ્ચે વાતચીત પણ ત્યારે સફળ થશે જયારે પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીઓ અને ચરમપંથીઓ પર કાર્યવાહી કરે.
ટ્રમ્પની આગામી ભારત યાત્રા દરમ્યાન કાશ્મીર મુદ્દા પર ફરીથી મધ્યસ્થતાની રજૂઆત કરવાના પ્રશ્ન પર વ્હાઇટ હાઉસના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીએ કહ્યું કે મને લાગે છે કે રાષ્ટ્રપતિ આ દરમ્યાન જે પણ કંઇ કહેશે તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો કરવા માટે ખૂબ પ્રેરિત કરવાવાળું હશે. તેમનું સંબોધન બંને દેશોને પોતાના મતભેદોના ઉકેલ લાવવા અને એકબીજાની સાથે દ્વિપક્ષીય વાર્તા માટે ખૂબ અગત્યનું હશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પનો ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ, આગ્રા તથા નવી દિલ્હી જવાનો કાર્યક્રમ છે. તેની સાથે જ ૧૨ સભ્યવાળું અમેરિકન પ્રતિનિધિમંડળ પણ હશે. વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું કે અમે હંમેશાથી માન્યું છે કે બંને દેશો (ભારત અને પાકિસ્તાન)ની વચ્ચે કોઇપણ સફળ વાતચીતનો પાયો પાકિસ્તાન પોતાના ક્ષેત્રમાં આતંકવાદીઓ અને ચરમપંથીઓ પર કાર્યવાહી પર નિર્ભર છે. તેમણે આગળ કહ્યું કે મને લાગે છે કે રાષ્ટ્રપતિ બંને દેશોથી નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા બનાવી રાખવાની સાથો સાથ આવી કાર્યવાહી કે નિવેદનોથી બચવાનો અનુરોધ કરશે જે ક્ષેત્રમાં તણાવ વધારી શકે છે.
અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર અધિકારીએ કહ્યું કે અમેરિકા ભારતને પ્રેરિત કરશે કે તેઓ આ શાંતિ પ્રક્રિયાનું સમર્થન કરવા માટે જે કરી શકે છે કે કરે, જેનાથી આ સફળ થાય. અધિકારીએ કહ્યું કે અમે સૈન્ય ભાગીદારી ખત્મ કરી શકીએ છીએ. અમે અમારી કૂટનીતિક અને આર્થિક ભાગીદારી ચાલુ રાખીશું, જે ત્યાં છેલ્લાં ૧૯ વર્ષથી છે પરંતુ અમે આ શાંતિ પ્રક્રિયાનું સમર્થન કરવા માટે ચોક્કસપણે ભારતની તરફ જોઇશું, જે ક્ષેત્રમાં મહત્વપૂર્ણ દેશ છે, ક્ષેત્રની સ્થિરતા માટે અગત્યનું છે. મને લાગે છેકે આ મુદ્દો ઉઠે છે તો આ રાષ્ટ્રપતિના અનુરોધ પર જ હશે.