આગથી સીરમ ઈન્સ્ટીટ્યૂટને 1000 કરોડનું નુક્સાન : ‘કોવિશીલ્ડ’ વેક્સિનના ઉત્પાદન પર કોઈ અસર નહીં
મોતને ભેટેલા દરેક મૃતકના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર
પુણે : કોરોનાની વૅક્સીન બનાવી રહેલી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ગુરુવારે લાગેલી આગથી કંપનીને 1 હજાર કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે. આ વાત સીરમના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ જણાવી છે
પૂનાવાલાએ જણાવ્યું કે, પ્લાન્ટમાં લાગેલી આગથી “કોવિશીલ્ડ”ના ઉત્પાદન પર કોઈ અસર નહીં થાય. હાલ પણ પૂરી ક્ષમતા સાથે વૅક્સીન બનાવાઈ રહી છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યાં ભવિષ્યમાં BCG અને રોટા વાઈરસની વૅક્સીન બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે 5 મજૂરોના મોત થયા છે, તેમના પરિવારજનોની જવાબદારી કંપનીની છે. કંપની પહેલા જ આગમાં મોતને ભેટેલા દરેક મૃતકના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી ચૂકી છે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સીરમ ઈન્સ્ટીટ્યૂટની મુલાકાત લીધી હતી અને પ્લાન્ટમાં આગથી થયેલા નુક્સાનની સમીક્ષા કરી હતી. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ઠાકરેએ જણાવ્યું કે, તપાસનો રિપોર્ટ મળ્યા બાદ જ જાણી શકાશે કે, આગ ક્યાં કારણોસર લાગી છે.
પૂનાવાલાએ જણાવ્યું કે, પ્રથમ તબક્કાના વૅક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત કંપનીએ “કોવિશીલ્ડ”ના 1.10 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે.
કેન્દ્ર સરકારના કહેવા પર કેટલાક અન્ય દેશોને પણ વૅક્સીન મોકલવામાં આવી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની વૅક્સીન મેન્યુફેક્ચરિંગ પ્લાન પૂણેના મંજરી વિસ્તારમાં આવેલો છે. કંપનીનો આ પ્લાન્ટ 100 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પરિસરમાં 8-9 નવી બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે