ઝારખંડના 13 આદિવાસી પરિવારોએ આધારકાર્ડ અને મતદાનકાર્ડ રાષ્ટ્રપતિને પરત આપ્યા : સરકારી વ્યવસ્થા -યોજનાનો બહિષ્કાર
રાષ્ટ્રપતિ સચિવાલયના આદેશ પર આ ફાઈલ હવે ઝારખંડ મંત્રાલય સુધી પહોંચી
ઝારખંડના 13 આદિવાસી પરિવારના તમામ લોકોએ પોતાના આધારકાર્ડ અને મતદાનકાર્ડ રાષ્ટ્રપતિને પરત આપી દીધા છે. આ સાથે રજૂઆત કરવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, આદિવાસી પરિવાર રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજનાનો બહિષ્કાર કરે છે.
એક તરફ ઝારખંડની સરકાર સમાંતર અને સક્ષમ સરકાર ચલાવવા માટે પૂરા પ્રયત્નો કરી રહી છે બીજી તરફ આ 13 પરિવારને સરકારની સિસ્ટમ પર કોઈ ભરોસો નથી. આ આદિવાસી પરિવારના લોકોએ સરકારી વ્યવસ્થા અને યોજનાઓનો બહિષ્કાર કર્યો છે.
રાષ્ટ્રપતિ સચિવાલયના આદેશ પર આ ફાઈલ હવે ઝારખંડ મંત્રાલય સુધી પહોંચી ગઈ છે. મુખ્ય સચિવ ડૉ.ડી.કે. તીવારીના આદેશ પર આ ફાઈલ જમીન માપણી તથા સંપાદન વિભાગને મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત બીજા વિભાગોનું પણ મંતવ્ય લેવામાં આવ્યું છે. જે આદિવાસી પરિવારોએ આ પગલું ભર્યું છે તેઓ ખૂબ જ ગરીબ છે. દરરોજનું ભોજન સરકારી રાશનની દુકાનમાંથી લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ ફાઈલમાં 13 પરિવારના પ્રમાણપત્ર, મતદાર કાર્ડ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, જોબકાર્ડ, ગેસ ક્નેક્શન કાર્ડ અને પાન કાર્ડનો સમાવેશ થાય છે.