મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd January 2019

ખેડૂતોને રાહત આપવા ૧.૨૫ લાખ કરોડની જોગવાઈઃ વેપારીઓને મળશે સસ્તા દરની લોન તથા ૧૦ લાખ સુધીના દુર્ઘટના વિમાનું કવચ

ખેડૂતો માટે રાહત પેકેજ તૈયારઃ ચૂંટણી પહેલા કે બજેટ પહેલા જાહેરાતની સંભાવના

નવી દિલ્હી, તા. ૨૩ :. કેન્દ્ર સરકારે ખેડૂતોને તેલંગણાથી પણ સારૂ પેકેજ આપવાની તૈયારી કરી છે. સરકાર તેઓને વર્ષમાં પ્રતિ એકર ૧૨૦૦૦ રૂ. આપવા જઈ રહી છે. આ પ્રસ્તાવને અંતિમ ઓપ આપી દેવાયો છે અને આ માટે સવા લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આની જાહેરાત બજેટ કે તે પહેલા થઈ શકે છે. આ ઉપરાંત સરકારે નાના અને મધ્યમ વેપારીઓને ૨ ટકા સસ્તા વ્યાજ લોન અને વિનામૂલ્યે વિમા જેવી સુવિધાઓ આપવાનો પણ નિર્ણય લીધો છે. આ બાબત સાથે સંકળાયેલા બે સરકારી અધિકારીએ આ મુજબ જણાવ્યુ હતું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે નિતી આયોગે નાણા મંત્રાલય અને કૃષિ વિકાસ મંત્રાલયની ભલામણ પર આ યોજના તૈયાર કરી છે. જેમા પ્રતિ એકર ૬૦૦૦ રૂ. એક સીઝનમાં અપાશે. તેલંગણા સરકાર ખેડૂતોને પ્રતિ એક ફકત ૮૦૦૦ રૂ. વર્ષે આપે છે. દેશમાં ૧૪ કરોડ ખેડૂતો પાસે લગભગ ૧૩ કરોડ હેકટર કૃષિભૂમિ છે. નિતી આયોગના રીપોર્ટ અનુસાર ૨૦૧૧-૧૨થી ૨૦૧૫-૧૬ દરમિયાન કૃષિ સંબંધી આવકમાં વર્ષે ફકત ૦.૪ ટકાનો વધારો થયો છે.

કેન્દ્ર સરકારે ૨૦૧૬માં ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની જાહેરાત કરી હતી. ખેડૂત અત્યારે વર્ષે ઓછામાં ઓછા ૭ થી ૧૦ હજાર રૂપિયા જ કમાઈ રહ્યો છે. આ યોજના લાગુ થયા બાદ તેમની આવક ૧૦ ટકા વધી જશે. ૨૦૨૨ સુધી બમણી આવક માટે દર વર્ષે ખેડૂતોની આવકમાં ૧૨ ટકાનો વાર્ષિક વધારો થાય તે જરૂરી છે.

સરકાર નાના અને મધ્યમ વેપારીઓને રાહત આપવા માગે છે. ૨ ટકા સસ્તી લોન અને મફતમાં વિમો આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છૂટ મેળવવા માટે વાર્ષિક ૫ કરોડ સુધીનુ ટર્નઓવર જરૂરી રહેશે. આ સિવાય મહિલા ઉદ્યોગકારોને પણ પ્રોત્સાહન આપવા બજેટમાં જાહેર થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે નાના વેપારીઓને ૧૦ લાખ રૂ. સુધીનો મફત દુર્ઘટના વિમા કવરેજ આપવાની યોજના બનાવી રહી છે. આ વિમા યોજનાનું માળખુ યુપી સરકારે નાના વેપારીઓ માટે બનાવેલી યોજના મુજબ નક્કી થશે. આનો બોજો કેટલો પડશે ? એની માહિતી આપવામાં આવી નથી.

સસ્તી લોન અને દુર્ઘટના વિમો આપવા સિવાય સરકાર નોંધાયેલ સેવા નિવૃત વેપારીઓને પેન્શન આપવા વિચાર કરી રહી છે. આ વેપારીઓને વૃદ્ધાવસ્થા પેન્શનની સુવિધા પણ મળી શકે છે. ટ્રેડર્સ વેલફેર બોર્ડની રચના પણ કરવામાં આવશે. અત્યારે વેપારીઓને ૯ થી ૧૦ ટકાના દરે લોન મળે છે. દેશભરમાં લગભગ ૭ કરોડ નાના વેપારીઓમાંથી ૪ ટકા જ બેન્ક પાસેથી લોન લ્યે છે.(૨-૭)

(10:27 am IST)