સુપ્રીમના ચુકાદાની સામે ફેરવિચારણા અરજી થઇ
વોડાફોન આઈડિયા, એરટેલની અરજી
નવી દિલ્હી, તા.૨૨ : ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ આજે સુપ્રીમ કોર્ટમાં તેના ૨૪મી ઓક્ટોબરના આદેશને પડકાર ફેંકીને ફેરવિચારણા અરજી દાખલ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ૨૪મી ઓક્ટોબરના દિવસે વોડાફોન આઈડિયા, એરટેલને મોટો ફટકો આપીને કેન્દ્ર સરકારને ૯૨૦૦૦ કરોડ રૂપિયાના એજીઆર ચુકવવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ કંપનીઓને એજીઆરની ચુકવણી કરવાની રહેશે. આ મુદ્દાને લઇને દૂર સંચાર વિભાગ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને ૯૨૦૦૦ કરોડ રૂપિયા ચુકવવા માટે ત્રણ મહિનાની મહેતલ આપી હતી. કોર્ટના ચુકાદા બાદથી સૌથી વધારે અસર વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલને થનાર છે. વોડાફોન આઈડિયા પર ૩૯૦૦૦ કરોડ અને એરટેલ પર ૪૧ હજાર કરોડ રૂપિયાની લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુજેસ ચાર્જ તરીકે બાકી છે.