ડ્રગ્સ કેસ :સમીર વાનખેડે-એનસીપી નેતા આમને સામને : NCB અધિકારી આરોપોને લઈને કાનૂની કાર્યવાહી કરશે
નવાબ મલિકે આરોપ લગાવ્યો કે, 'વાનખેડેએ તમામ વસૂલી માલદીવ અને દુબઈમાં કરી: સમીર વાનખેડેએ કે,' હું મારા જીવનમાં ક્યારેય દુબઈ ગયો નથી. સરકારની પરવાનગી લીધા બાદ અને પોતાના ખર્ચે પરિવાર સાથે માલદીવ ગયો હતો
મુંબઈ : આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ એનસીપી નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એનસીબીના અધિકારી સમીર વાનખેડે સામે નિવેદનો આપવાનુ શરૂ કર્યુ છે. તેમણે સમીર વાનખેડે પર વધુ એક આરોપ લગાવ્યો છે અને પૂછ્યુ છે કે, 'કોરોનાકાળમાં તે અને તેમનો પરિવાર માલદીવમાં હતો કે કેમ? તે માલદીવ કે દુબઈ ગયા હતા? જો ગયા હોય તો તેની પૂરી જાણકારી આપે.
નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે, 'વાનખેડેએ તમામ વસૂલી માલદીવ અને દુબઈમાં કરી છે. કારણ કે કોરોનાકાળમાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ બે જગ્યાએ હતી. ' આ મામલે સમીર વાનખેડેએ નવાબ મલિકને ચેતવણી આપતા કહ્યું કે,'નવાબ મલિક કેબિનેટ મંત્રી હોવાને કારણે સાવ ખોટું બોલી રહ્યા છે. હું મારા જીવનમાં ક્યારેય દુબઈ ગયો નથી.
મલિક હવે આ કાર્ટૂન નેટવર્ક ચલાવવાનું બંધ કરો. હું તેમને ટૂંક સમયમાં કાનૂની નોટિસ મોકલવા જઈ રહ્યો છું. હું સરકારની પરવાનગી લીધા બાદ અને પોતાના ખર્ચે પરિવાર સાથે માલદીવ ગયો હતો. જ્યારથી એનસીબીએ ડ્રગ્સ રેકેટ ઝડપ્યું છે ત્યારથી ઘણા લોકો હવાતિયાં મારતા એનસીબીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે