મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

સમયસર એમ્બ્યુલન્સ નહિ મળતા મરાઠી ફિલ્મ અભિનેત્રી પૂજા ઝુંઝર અને નવજાતનું કરૂણમોત

પ્રસુતિની પીડા બાદ હોસ્પિટલે પહોંચવા સમયસર એમ્બ્યુલસ પહોંચી નહીં :રસ્તામાં મોત

મુંબઈ : બે મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ઝુંઝરનું અને તેના નવજાતનું મોત થયું છે. આ અભિનેત્રી અને એના નવજાતનું મોત એટલા માટે થયું કારણ કે એમને હોસ્પિટલ પહોંચવા માટે સમયસર એમ્બ્યુલન્સ મળી નહતી.

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાંએક મરાઠી અભિનેત્રી અને તેના નવજાતનું મોત માત્ર એટલા માટે થયું કારણ કે એમ્બ્યુલન્સ ન મળવાને કારણે તેના પરિવારના લોકો સમયસર હોસ્પિટલમાં પહોંચી શક્યા નહીં. આ ઘટનાથી જિલ્લાની લાચારી છતી થઈ છે.

  ઘટનાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતક મરાઠી અભિનેત્રીની ઓળખ પૂજા ઝુંઝર તરીકે કરી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂજાને પ્રસૂતિ પીડા થયા બાદ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. પરંતુ પરિસ્થિતિ વધુ વણસી જતા પૂજાના પરિવારે તેમને હિંગોલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું. પરંતુ પરિવારને હિંગોલીની સિવિલ હોસ્પિટલમાં જવા માટે કોઈ એમ્બ્યુલન્સ મળી નહોતી. ઘણી મહેનત બાદ પરિવારને ખાનગી એમ્બ્યુલન્સ મળી. પરંતુ તે હિંગોલીની સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પૂજા અને તેના નવજાતનું માર્ગમાં જ મોત નીપજ્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા કિસ્સાઓ દેશમાં ઘણી જગ્યાઓએ જોવા મળ્યાં છે જ્યાં ઍમ્બ્યુલન્સના અભાવે સમયસર મેડિકલ હૅલ્પ મળી ન હોય અને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. ખાસ કરીને ગામડાંઓના અંતરિયાળ વિસ્તારોમાં આ સમસ્યા વિકટ છે ત્યારે સરકારે આ દિશામાં યોગ્ય પગલાં લેવા જોઈએ.

(1:25 pm IST)