મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

પાકિસ્તાનથી નકલી ૨૦૦૦ની નોટ ખૂબ મોટા પાયે ભારતીય માર્કેટમાં ઘુસાડવામાં આવી રહી છે

૨૦૦૦ની નોટનું છાપકામ બંધઃ શું હોઇ શકે છે એના સંકેત?

નવી દિલ્હી, તા.૨૨: નોટબંધી પછી ચલણમાં અસ્તિત્વમાં આવેલી રૂ.૨૦૦૦ ની નોટનું હવે રિઝર્વ બેંકે છાપકામ (પ્રિન્ટિંગ) બંધ કરી દીધું છે. માહિતી મેળવવાના અધિકાર હેઠળ પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં રિઝર્વ બેંકે જણાવ્યું કે, આ નાણાકીય વર્ષમાં ૨૦૦૦ રૂપિયાની એક પણ નવી નોટ છાપવામાં આવી નથી. જોકે, આરબીઆઈએ આની પાછળનું કારણ જણાવ્યું નથી પરંતુ જાણકારોનું કહેવું છે કે, હાઈ વેલ્યૂ કરન્સીને બંધ કરવા પાછળ બ્લેક મની, ભ્રષ્ટાચાર અને નકલી નોટ મોટા કારણ છે.

સરકારે ૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટને બંધ કરી દીધી હતી ત્યારબાદ આરબીઆઈ પહેલા ૨૦૦૦ની નોટ બેંકિંગ સિસ્ટમ સુધી પહોંચાડી હતી. ત્યારબાદ ૫૦૦ રૂપિયાની નવી નોટ ચલણમાં મુકી હતી. સરકાર તરફથી ૨૦૦૦ રૂપિયાની નોટને બંધ કરવાના નિર્ણયનો રિપોર્ટ અગાઉ પણ આવ્યો હતો, પણ કેન્દ્ર અને આરબીઆઈએ એ સમયે આ વાતને નકારી કાઢી હતી.  નાણામંત્રાલયમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેયર્સના તત્કાલીન સેક્રેટરી સુભાષ ચંદ્ર ગર્ગે આ વર્ષની શરુઆતમાં ટ્વીટ કર્યું હતું, શ્નચલણી નોટની છાપણીની યોજના અનુમાનિત જરૂરીયાત અનુસાર બનાવવામાં આવી છે. અમારી પાસે સિસ્ટમમાં ૨૦૦૦ રૂપિયાની પર્યાપ્ત નોટ છે. સર્કુલેશનમાં વેલ્યૂના દ્રષ્ટિએ ૩૫ ટકાથી વધારે ૨૦૦૦ રૂપિયાની નોટ છે. ૨૦૦૦ રૂપિયાની નોટને લઈને હાલમાં કોઈ જ નિર્ણય નથી લેવાયો.

વધુ વેલ્યુની નોટના કારણે બ્લેક મની વધે છે સાથે ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળે છે. બ્લેકમની રાખવાવાળા વધુ વેલ્યુની નોટને પોતાની પાસે જમા કરી રાખે છે. આ સાથે જ નકલી નોટની સમસ્યાના નિવારણ માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા હાલમાં જ કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનથી નકલી ૨૦૦૦ની નોટ ખૂબ મોટા પાયે ભારતીય માર્કેટમાં દ્યુસાડવામાં આવી રહી છે. આ નોટની ઓળખ કરવી પણ સરળ નથી.

આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં પણ મોટાભાગની નોટ ૨૦૦૦ રૂપિયાની જ મળી છે. જેથી એવા સંકેત મળે છે કે, ટેકસ ચોરી અને નાણાકીય અપરાધોમાં સામેલ લોકો ૨૦૦૦ રૂપિયાની નોટને વધુ પસંદ કરે છે.

નોટબંધી પછી ૨૦૦૦ની નોટ ચલણમાં લાવવા સામે વિપક્ષી દળોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, આના કારણે લોકો માટે બ્લેકમની રાખવી સરળ બની જશે. એ સમયે કોટક મહિન્દ્રા બેંકના પ્રમોટર ઉદય કોટકે પણ ૧૦૦૦ રૂપિયાની નોટની બદલે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાં મુકવાના સરકારના પગલા સામે સવાલો ઉઠાવ્યા હતાં.

 ૨૦૦૦ રૂપિયાની નોટનું છાપકામ બંધ કરવાથી અમુક અંશે બ્લેકમની સામે લડવામાં મદદ મળશે. જેના કારણે બ્લેક મની રાખતા લોકો પાસે નોટો જમા કરવી મુશ્કેલ બનશે. સરકાર માટે મોટી સમસ્યા નકલી કરન્સીની છે ૨૦૦૦ની નોટ બંધ થવાથી નકલી નોટનો વેપાર કરતા લોકો માટે પણ સમસ્યા વધી જશે. કેમ કે નાની વેલ્યુની નકલી નોટ બનાવવામાં ખર્ચો વધારે આવે છે અને પકડાઈ જવાનો ભય પણ વધુ રહે છે. સરકાર દેશમાં ડિજિટલ ટ્રાન્જેકશન વધારવા પર ભાર મૂકી રહી છે, જોકે, આમા અત્યાર સુધી જોઈએ એટલી સફળતા મળી નથી. હાઈ વેલ્યૂ કરન્સી ઉપલબ્ધ ન હોવાથી લોકો ચૂકવણી માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ વધારી શકે છે.

(10:08 am IST)