મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

અભિજીતની હત્યા તેની માતા મીરા યાદવે જ કરી હતીઃ પુત્રના નશાની લત બન્યું હત્યાનું કારણ

ઉત્તર પ્રદેશ ધારાસભાના સ્પીકર રમેશ યાદવના પુત્ર

લખનો તા.૨૨: યુપી ધારાસભાના સભાપતિ રમેશ યાદવના પુત્ર અભિજીતનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયેલ. આ ઘટના તેમના સરકારી નિવાસસ્થાને બની હતી. માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. પરિવારજનો અભિજીતના શરીરને અંતિમ સંસ્કાર માટે લઇ જવા લાગતા સિનિયર અધિકારીઓએ તેનો વિરોધ કરી પોસ્ટમોર્ટમ કરાવવાનું કહયું હતું. જેનો પરિવારે જોરદાર વિરોધ કરેલ પણ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા હકીકત કંઇક અલગ જ આવી હતી.

અભિજીતના પરિવારજનોએ જણાવેલ કે તેનો પુત્ર રાત્રે અચાનક છાતીમાં દુઃખાવા બાદ અભિજીતનું મૃત્યુ થયેલ. પણ પોલીસને વાત ગળે ન ઉતરતા પોસ્ટમોર્ટમ કરાવાયેલ. રીપોર્ટમાં અભિજીતના માથાના ભાગે ઘા લાગેલ અને ગળુ દબાવવાથી તેનું મોત થયાનું બહાર આવતા પોલીસે પરિવારના લોકોની પુછપરછ કરેલ. તપાસ અધિકારીઓને અભિજીતની માતા ઉપર પહેલેથી જ શંકા હતી જે હકીકતમાં બદલાઇ હતી. માતા મીરા યાદવે પોતાનો ગુનો કબુલી જણાવેલ કે તે પુત્રના નશાની લતથી પરેશાન હતી અને શનિવારે પણ અભિજીત નશામાં જ ઘરે પહોંચ્યો હતો. જેના કારણે વિવાદ થયો હતો. અંતિમ સંસ્કાર વખતે રમેશ યાદવ પણ હાજર હતા પણ તેમણે ઘટના અંગે કોઇ નિવેદન આપ્યું ન હતું.

(3:57 pm IST)