ગુજરાત કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય રાહુલ ગાંધી નક્કી કરશે
ગુજરાત કોંગ્રેસમાં અલ્પેશના વધી રહેલા કદથી આમ પણ રાજ્યના અનેક નેતાઓ ખુશ નહોતા જ્યારે હવે આ હિંસાના બનાવોમાં અલ્પેશ ઠાકોરની કથીત સંડોવણીથી કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ રાષ્ટ્રીય કમાન પાસે પોતાની નારાજગી વ્યકત કરી
નવી દિલ્હી તા. ૨૨ : કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરના ભવિષ્ય અંગે હવે રાહુલ ગાંધી વિચાર કરશે તેવું કોંગ્રેસના નેતાએ સાથે વાત કરતા જણાવ્યું. હિંમતનગરમાં ૧૪ મહિનાની બાળકી પર આચરવામાં આવેલ અત્યાચાર મામલે પરપ્રાંતીયો અને હીંદીભાષીઓ વિરૂદ્ઘ ગુજરાતમાં શરૂ થયેલા હિંસાત્મક બનાવો માટે કથીત રૂપે ઠાકોર આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ મોખરે હોવાનું કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં પણ બિહારના સેક્રેટરી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી ધરાવે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને સંડોવતી રેલી અને તેની કિલપિંગ જોયા બાદ સમગ્ર મામલો હાલ કોંગ્રેસની ઓલ ઇન્ડિયા કમિટી સામે છે. જોકે અંતિમ નિર્ણય તો રાહુલ ગાંધી જ લેશે. ગુજરાતમાં બિહારીઓ અને યુપીના લોકો સામે થયેલા હિંસાત્મક બનાવો માટે અલ્પેશ જવાબદાર હોવાના આરોપ છે ત્યારે કોંગ્રેસમાં તેમના ભવિષ્ય અંગે રાહુલ જ નક્કી કરશે.
સૂત્રોનું માનીએ તો ગુજરાત કોંગ્રેસમાં અલ્પેશના વધી રહેલા કદથી આમ પણ રાજયના અનેક નેતાઓ ખુશ નહોતા જયારે હવે આ હિંસાના બનાવોમાં અલ્પેશ ઠાકરોની કથીત સંડોવણીથી કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ રાષ્ટ્રીય કમાન પાસે પોતાનો નારાજગી વ્યકત કરી છે. તો બીજીબાજુ ગત ૧૨ ઓકટોબરના રોજ અલ્પેશની બિહાર મુલાકાત પૂર્વનિર્ધારીત હતી જોકે બિહર કોંગ્રેસે વિરોધ નોંધાવતા અલ્પેશે આ મુલાકાત કેન્સલ કરવી પડી હતી. તો બિહાર કોંગ્રેસના પ્રભારી શકિતસિંહ ગોહિલે કહ્યું કે, 'અમે હજુ સુધી અલ્પેશ અંગે કંઈ પણ વિચાર્યું નથી. જે પણ નિર્ણય લેવાનો છે તે પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ લેવાનો છે.'
તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ ઠાકોર મામલે કંઇપણ બોલવાથી અંતર બનાવી રાખ્યું છે. તાજેતરના બનાવો અંગે અલ્પેશ અંગે પૂછવામાં આવતા ચાવડાએ કહ્યું કે, 'તેમના અંગેનો તમામ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે. અમને હજુ સુધીમાં કંઈ જ પૂછવામાં આવ્યું નથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આ મામલે હાઈકમાન્ડને કોઈ સલાહ સૂચન હાલ તો આપી શકે નહીં.' ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરની રેલીમાં કથિત ઉશ્કેરણીજનક ભાષણ બાદ સમગ્ર રાજયમાં હિંદીભાષીઓ વિરૂદ્ઘ હિંસા ફેલાઈ હતી
આ મામલે અલ્પેશનું કહેવું છે કે, મારી બિહાર મુલાકાત અંગે હજુ કંઈ નક્કી નથી થયું આ અંગે પાર્ટી જ નિર્ણય કરશે. જયારે બિહારમાં OBC, SC અને ST સમાજના મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ મને લઈને ખાસ પ્લાન તૈયાર કરી રહ્યું છે. જેમાં મને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા મળશે.(૨૧.૧૧)