મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

6 મહિના બાદ તાજમહેલ ખુલ્લો મુકાતા ચીની પર્યટકો જોવા મળતા તંત્ર ધ્રુજી ઉઠયુઃ ચીનમાંથી કોરોના સંક્રમણ આગળ વધ્‍યુ છે ત્‍યારે આ દેશના મુસાફરો પર ખાસ નજર રાખવી જરૂરી

આગ્રા: કોરોના સંકટના કારણે છ મહિના બંધ રહેલો તાજમહેલ સોમવારે ફરીથી પર્યટકો માટે ખુલી ગયો છે. રીઓપનિંગના પહેલા દિવસે તાજના દર્શન કરવા આવનારા લોકોમાં ચીની પર્યટકો પણ જોવા મળ્યા. ચીન જ એ દેશ છે જેણે આખી દુનિયામાં કોરોના ફેલાવ્યો આથી ચીની પર્યટકોને લઈને ખુબ સાવધાની વર્તવામાં આવી રહી છે.

આગ્રાની હોટલોને ચીની મુસાફરો પર ખાસ નજર રાખવાનું જણાવાયું છે. પ્રશાસનને ડર છે કે ચીની મુસાફરો સંક્રમણની ઝડપ વધવાનું કારણ બની શકે છે. આ જ કારણે ખાસ સાવધાની વર્તવામાં આવી રહી છે. પહેલા દિવસે કુલ 20 વિદેશી પર્યટકો અને 1215 ભારતીય પર્યટકોએ તાજ મહેલ જોયો. ચીની મુસાફર લિયાંગ ચિંગચેંગ સૌથી પહેલા પર્યટક હતા. આવનારા દિવસોમાં તાજને જોવા આવનારા પર્યટક વધી શકે છે. જો કે કોરનાના ખોફને જોતા મર્યાદિત સંખ્યામાં જ પર્યટકોને પ્રવેશ અપાશે.

નવી ગાઈડલાઈન મુજબ દરરોજ વધુમાં વધુ 5000 પર્યટકોને તાજ મહેલમાં પ્રવેશ મળશે. એ જ રીતે લાલ કિલ્લામાં ફક્ત 2500 પર્યટકોને જ મંજૂરી મળી શકશે. સોમવારે 248 પર્યટકો લાલ કિલ્લો જોવા પહોંચ્યા હતાં જેમાથી 5 વિદેશી હતા.

રેલિંગ અને દીવાલોથી દૂર રહો

એન્ટ્રી ટિકિટ ફક્ત ઓનલાઈન મળે છે. પર્યટકોએ ભારતીય પુરાતત્વ ખાતા (ASI)ની વેબસાઈટ પરથી ઓનલાઈન ટિકિટ મેળવવાની રહેશે. સ્મારકો પર ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ જ પ્રવેશ મળે છે. આ સાથે જ પાર્કિંગ સહિત તમામ ચાર્જની ચૂકવણી ડિજિટલ કરવાનું જરૂરી કરાયું છે. પુરાતત્વ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તાજમહેલ અને આગ્રાના કિલ્લામાં એસઓપીનું પાલન થઈ રહ્યું છે.

ગેટ પર સ્ક્રિનિંગ

પર્યટકો માટે માસ્ક પહેરવું જરૂરી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત તેમને તાજ મહેલની મુખ્ય ઈમારત સહિત તમામ દીવાલો તથા રેલિંગથી દૂર રહેવાનું કહેવાયું છે. પ્રવેશદ્વાર પર થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરાઈ છે. પર્યટકોએ તેમાથી પસાર થવાનુ રહે છે. જો કોઈ પર્યટકમાં કોરોનાના હળવા લક્ષણ પણ જોવા મળે તો તેને સ્મારકમાં પ્રવેશ અપાતો નથી.

(4:44 pm IST)