આર્થિક કટોકટી સામે ઝઝૂમતી સરકારી કંપની BSNL પોતાની 18,000 કરોડની સંપત્તિ વેચશે
કેન્દ્ર સરકારે આ યોજના માટે લીલી ઝંડી આપી
નવી દિલ્હી : આર્થિક કટોકટી સામે ઝઝૂમતી સરકારી કંપની BSNL પોતાની 18,000 કરોડની સંપત્તિ વેચી નાખશે, કેન્દ્ર સરકારે આ યોજના માટે લીલી ઝંડી આપી છે આર્થિક કટોકટી સામે ઝઝૂમતાં રહેવા અગાઉ BSNL એ સોવરેન ગૅરંટી બોન્ડ બહાર પાડ્યા હતા.જેના થકી BSNLને 8,500 કરોડની આવક થઇ હતી. BSNLને બેઠી કરવા સરકારે આ બોન્ડ બહાર પાડવાની રજા આપી હતી.
BSNLના અધ્યક્ષ પી કે પુરવારે કહ્યું હતું કે અ્મે સવારે સાડા દસ વાગ્યે બોન્ડ બહાર પાડ્યા અને બાર વાગ્યે બંધ કર્યા. એટલા ઓછા સમયમાં અમને ધાર્યા કરતાં બમણો પ્રતિસાદ સાંપડ્યો હતો. અમને 17,170 કરોડની બોલી મળી હતી. પરંતુ અમે ફક્ત 8,500 કરોડની બોલી સ્વીકારી હતી. આ બોન્ડ દસ વર્ષ માટે વરસે 6.79 ટકાના વ્યાજે બહાર પડાયા હતા.
BSNLની બોન્ડ યોજનામાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શ્યલ બોન્ડ, રાષ્ટ્રીય પેન્શન યોજના, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંકે ભાગ લીધો હતો. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ સીધો 1,500 કરોડનો હિસ્સો આપ્યો હતો.