UNGAની ઉચ્ચકક્ષાની બેઠકને વડાપ્રધાન મોદીનું સંબોધન
વ્યાપક સુધારા વગર સંયુકત રાષ્ટ્ર ભરોસાના સંકટનો સામનો કરી રહ્યુ છે
નવી દિલ્હી,તા.૨૨: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સંયુકત રાષ્ટ્રની ૭૫મી વર્ષગાંઠ પર સોમવારે મોડી રાતે UNGAના એક ઉચ્ચ સ્તરની બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ૭૫ વર્ષ પહેલા યુદ્ઘની ભયાનકતાથી એક નવી આશા પેદા થઈ. માનવ ઈતિહાસમાં પહેલીવાર સમગ્ર દુનિયા માટે એક સંસ્થા બનાવવામાં આવી. સંયુકત રાષ્ટ્ર ચાર્ટરના સંસ્થાપક હસ્તાક્ષરકર્તા તરીકે ભારત તે મહાન દ્રષ્ટિકોણનો ભાગ હતો. આ સાથે તેમણે કહ્યું કે ખુદ સંયુકત રાષ્ટ્રના સુધારની પણ જરૂરિયાત છે. આપણે જૂની સંરચનાઓની સાથે આજના પડકારો સામે લડી શકીએ નહી. વ્યાપક સુધારાઓ વગર, સંયુકત રાષ્ટ્રના ભરોસા પર સંકટ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેનાથી ભારતના 'વસુધૈવ કુટુંબકમ'ના દર્શનને પ્રતિબિંબિત કર્યો જે દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. પીએમ મોદીએ કહ્યું કે સંયુકત રાષ્ટ્રના કારણે આજે આપણી દુનિયા એક સારી જગ્યાએ છે. જેમણે શાંતિ અને વિકાસ માટે કામ કર્યું અને સંયુકત રાષ્ટ્રના ઝંડા હેઠળ તેના શાંતિ અભિયાનોમાં યોગદાન આપ્યું તે તમામને અમે શ્રદ્ઘાંજલિ અર્પણ કરીએ છીએ. જેમાં ભારતે અગ્રણી રહીને પોતાનુ યોગદાન આપ્યું.
પીએમ મોદીએ કહ્યું કે આજે અમે જે જાહેરાતો કે કામ કરીએ છીએ તેને સ્વીકારવામાં આવે છે. જો કે સંઘર્ષને રોકવા, વિકાસને સુનિશ્ચિત કરવા, જળવાયુ પરિવર્તન, અસમાનતા ઘટાડવા અને ડિજિટલ ટેકનોલોજીનો લાભ ઉઠાવવા જેવા મુદ્દાઓ પર હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ જાહેરાતો અને કાર્યો હેઠળ ખુદ સંયુકત રાષ્ટ્રના સુધારની પણ જરૂરિયાત છે. આપણે જૂની સંરચનાઓની સાથે આજના પડકારો સામે લડી શકીએ નહી. વ્યાપક સુધારાઓ વગર, સંયુકત રાષ્ટ્રના ભરોસા પર સંકટ છે.