AIIMSના ડોકટર્સે કર્યો દાવો
હવે સાવરણીથી પણ ફેલાઇ શકે છે કોરોનાઃ વેકયુમ કલીનરનો ઉપયોગ કરવા કહ્યું
સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી ફેલાય છે કોરોના સંક્રમણ : કચરો વાળતાં આ રીતે થાય છે નુકશાન
નવી દિલ્હી,તા.૨૨:કોરોના સંક્રમણના ફેલાવવાની રીતોને લઈને અનેક તથ્યો અને દાવાઓ સામે આવી રહ્યા છે. AIIMSના એક ડોકટરનું કહેવું છે કે સાર્વજનિક સ્થાનો પર કચરો વાળવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. આ માટે આ સ્થાનોએ કચરાની સફાઈ માટે વેકયૂમ કલીનરનો ઉપયોગ કરવો જોઈએ.
AIIMSમાં સર્જરી વિભાગના અધ્યક્ષ ડોકટર અનુરાગ શ્રીવાસ્તવ કહે છે કે સાવરણીના ઉપયોગ અને ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે. આ વાયરસ કોઈ પણ જગ્યાએ ૩થી ૫ દિવસ સુધી રહે છે. સંક્રમિત છીંક ખાય કે ખાંસી ખાય તો પણ તેના શરીરથી નીકળતા વિષાણુના કણ આસપાસની જગ્યાએ ફેલાય છે.
સાર્વજનિક સ્થાનોએ કચરો વાળતી સમયે આ કણ ધૂળ માટીમાં ફેલાય છે. આ સમયે કોઈ વ્યકિત અહીંથી પસાર થાય છે તો અહીં વાયરસ શ્વાસની મદદથી વ્યકિતના શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી વાયરસને ફેલાવવામાં મદદ મળે છે. ડોકટરે અપીલ કરી છે કે ૨ ઓકટોબરે સાવરણા કે સાવરણીને બદલે સ્વચ્છતા અભિયાનમાં વેકયૂમ કલીનરનો ઉપયોગ કરવામાં આવે.
ડોકટર્સના જણાવ્યા અનુસાર લોકો કોરોના સાથે જોડાયેલા કચરા, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટને ખુલ્લામાં ન નાંખે. આ કચરો એક બેગમામં બંધ કરીને ૩ દિવસ રહેવા દો. આ પછી તેને યોગ્ય સ્થાને નાંખો. આમ કરવાથી કચરો એકત્રિત કરનારાને પણ સંક્રમણ લાગશે નહીં.