ભારતની ચોખ્ખીને ચટ વાત
પેંગોંગ-ડેપસોંગ સહીત તંગદીલીવાળી બધી જગ્યાએથી પાછી હટે ચીની સેના
એપ્રિલ પહેલાની સ્થિતિ જાળવવા બાબતે બંન્ને દશો સંમત
નવી દિલ્હી, તા., ૨૨: પુર્વ લદાખમાં એલએસી પર તંગદીલી વચ્ચે ગઇકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાંડર સ્તરની છઠ્ઠા સ્તરની વાતચીત ૧ર કલાકથી પણ વધારે ચાલી હતી. આ દરમ્યાન ભારતે ચીન સામે પેંગોંગ સરોવર અને ડેપસાંગ સહીત બધી તંગદીલીવાળી જગ્યાઓ પરથી પાછા જવાની શરત રાખી હતી. ભારતનું કહેવું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતની જમીન પર ઘુસણખોરીની કોશીષ કરી છે એટલે પહેલા તેણે પાછળ હટીને સરહદ વિવાદ અંગે ગંભીરતા દાખવવી પડશે.
તો, પેંગોંગના દક્ષીણી ભાગના મહત્વના શિખરો પર ભારતના વર્ચસ્વથી ઘુંધવાયેલા ચીનના કોર કમાંડરે ભારતીય સેનાને આ વિસ્તારમાંથી પહેલા હટવાનું કહયું છે. બંન્ને પક્ષો એ વાતે સંમત હતા કે વાતચીત ચાલુ રાખીને, વિશ્વાસ વધારીને એપ્રિલ પહેલાની સ્થિતિ પ્રાપ્ત થઇ શકશે. જણાવાઇ રહયું છે કે આ વાતચીત મંગળવારે પણ ચાલુ રહી શકે છે.
લદાખમાં સોમવારે સવારે નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા પછી પણ ચુશુલ વિસ્તારમાં એલએસીની પેલી તરફ ચીનના મોલ્ડોમાં ભારતના લદાખના કોર કમાંડર લેફટેનંટ જનરલ હરેન્દરસિંહ અને તેમના ચીની સમક્ષ વચ્ચે છઠ્ઠા દોરની વાતચીત ચાલી હતી. ભારત તરફથી આ મીટીંગ વિદેશ મંત્રાલયના સંયુકત સચિવ નવિન શ્રીવાસ્તવ અને ૧૪ મી કોરના આગલા કોર કમાંડર લેફટેનંટ જનરલ પીજીકે મેનન પણ જોડાયા હતા. સુત્રો અનુસાર હરેન્દ્રસિંહનો કોર કમાંડર તરીકેનો કાર્યકાળ પુરો થવાનો છે. મોડી રાત સુધી ચાલેલ આ વાતચીત અંગે કોઇ ઔપચારીક માહીતી બહાર નથી પાડવામાં આવી.