મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

ભારતના ચૂંટણી પંચ દ્વારા આંતરરાષ્ટ્રીય વેબીનાર યોજાયો : કોવિડ-૧૯ દરમિયાન ચૂંટણી યોજવા માટેના પડકારો, મુદ્દાઓ, અનુભવોની વહેંચણી કરાઈ

નવી દિલ્હી : ભારતના ચૂંટણી પંચ દ્વારા આંતરરાષ્ટ્રીય વેબીનાર નું આયોજન કરાયું હતું. કોવિડ-૧૯ દરમ્યાન ચૂંટણી યોજવા માટેના વિવિધ પડકારો, મુદ્દાઓ, અનુભવોની વહેંચણી કરાય હતી.

          આ અંગેની વધુ વિગત જોઈએ તો મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી દ્વારા કોવિડ 19ની મહામારી દરમ્યાન બિહાર રાજ્યમાં યોજાનારી ચૂંટણીના માપદંડો પર ભાર મૂકવામાં આવેલ, રાજ્યની મુલાકાત અંગે ટૂંક સમયમાં ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Association of World Election Bodies (A-WEB) ના અધ્યક્ષપદને એક વર્ષ પૂર્ણ થવા પર, ભારતીય ચૂંટણી પંચે આજે 'COVID-19 દરમિયાન ચૂંટણી યોજવા માટેના મુદ્દાઓ, પડકારો અને પ્રોટોકોલ: દેશના અનુભવોની વહેંચણી” પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરેલ. વિશ્વભરની લોકશાહીઓ માટે કોવિડ 19 દરમિયાન ચૂંટણી યોજવાના અનુભવોને પરસ્પર વહેંચવા માટે એક મંચ પર આવવાનો આ પ્રસંગ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 03 સપ્ટેમ્બર 2019 ના રોજ બેંગલુરુ ખાતે યોજાયેલ A-WEB ની ચોથી મહાસભામાં ભારતે 2019-2021 ગાળા માટે A-WEB નું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. વેબિનારનું ઉદ્ઘાટન કરતાં ભારતના માનનીય મુખ્ય ચૂંટણી કમિશનર અને A-WEB ના અધ્યક્ષ શ્રી સુનિલ અરોરાએ જાહેર આરોગ્યની કટોકટીની સ્થિતિમાં નિયોજીત ચૂંટણીઓ યોજવી કે કેમ અને કેવી રીતે યોજવી તે અંગે વિશ્વભરની ચૂંટણી સંચાલન સંસ્થાઓ દ્વારા અનુભવાયેલી "કઠિન પરિસ્થિતિ" વિશે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે દરેક દેશનું સંદર્ભિત માળખું અલગ હોય છે, Covid-19 ના પ્રસરણનો વ્યાપ જુદા જુદા હોય છે અને તેથી નોવેલ કોરોના વાયરસ અને તેના વિનાશક પ્રભાવનો સામનો કરવાની દરેક દેશની ક્ષમતા અલગ-અલગ હોય છે. તેમણે દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, મલાવી, તાઇવાન, મંગોલિયા અને બીજા ઘણા દેશોનો ઉલ્લેખ કર્યો કે જેઓ પૂર્વનિયોજીત ચૂંટણી યોજી હતી, તેમ છતાં તેમણે ચૂંટણી યોજતી વખતે લોકોના સ્વાસ્થ્ય અને સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે જરૂરી વિશાળ વ્યવસ્થા કરવા માટેના પૂરતા પગલાં લીધેલ.

શ્રી સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણીઓ વિશાળ સંખ્યામાં મતદારો, ભૌગોલિક અને ભાષાકીય વિવિધતા અને વિવિધ આબોહવાની પરિસ્થિતિઓને કારણે ભારે પડકારો ઉભા કરે છે. બિહારની વિધાનસભાની આગામી ચૂંટણીઓના માપદંડોની વિગતવાર માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે કુલ મતદારોની સંખ્યા ૭.૨૯ કરોડ છે.

ચૂંટણી પર કોવિડ -19 ના પ્રભાવ વિશે જણાવતાં શ્રી અરોરાએ જણાવ્યું કે કોવિડ 19 કટોકટી તથા સામાજિક અંતરનાં ધોરણોને કારણે ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચનાઓ પર કેવી રીતે પુન:વિચારણા જરૂરી બને છે. મતદાન મથક પર મહત્તમ મતદારોની સંખ્યા 1500 થી ઘટાડીને 1000 કરી દેવામાં આવી છે જેના પરિણામે મતદાન મથકોની સંખ્યામાં 40 ટકાનો વધારો થઈને 65,000 થી વધીને 100,000 થઈ ગઈ છે. આ ફેરફારોથી વ્યવસ્થાતંત્ર અને માનવસંસાધનો પર ઘેરી અસર પડી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રીએ ઉલ્લેખ કર્યો છે કે બિહારની મુલાકાત લેવા બાબતે આયોગ આગામી બેથી ત્રણ દિવસની અંદર નિર્ણય લેશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે એમ પણ જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ અને વર્તમાન સંજોગોને ધ્યાને લેતાં કોવિડ પોઝિટિવ મતદારો અને ક્વોરન્‍ટાઈન થયેલ મતદારોનો મતાધિકાર સુનિશ્ર્ચિત કરવા માટેની સુવિધા વધારવા પર ખૂબ ભાર મૂક્યો છે. આ સંદર્ભમાં, મુખ્ય ચૂંટણી કમિશનરે નવેમ્બર-ડિસેમ્બર 2019 માં યોજાયેલ ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ અને ફેબ્રુઆરી 2020 માં યોજાયેલ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કેવી રીતે 80 વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગ વ્યક્તિઓ અને જેઓ ચોક્કસ પ્રકારની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા છે તેમના સુધી ટપાલ મતદાન સુવિધા (Postal Ballot System) વિસ્તારવામાં આવેલ હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.પોસ્ટલ બેલેટની આ સુવિધા કોવિડ પોઝિટિવ મતદારો કે જેઓ ક્વોરેન્ટાઇન / હોસ્પિટલમાં દાખલ છે તેમના સુધી વિસ્તારવામાં આવી છે.

શ્રી સુનિલ અરોરા દ્વારા કોવિડ-૧૯ મહામારીના સમયમાં ચૂંટણી યોજવા અંગે નિયત કરેલ ખાસ અને વિગતવાર માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેઓએ  જૂન, 2020 માં રાજ્યસભાની 18 બેઠકો માટે યોજાયેલા ચૂંટણીના સફળ સંચાલનનો પણ ઉલ્લેખ કર્યો. વર્ષ ૨૦૨૧ ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુ માં યોજાનાર ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો.

સપ્ટેમ્બર 2019 માં બેંગલુરુ ખાતે યોજાયેલ વિશ્વ ચૂંટણી સંસ્થાઓના સંગઠન (A-WEB) ની સામાન્ય સભાની પણ  મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રીએ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, વેબિનાર આજે વિશ્વ ચૂંટણી સંસ્થાઓના સંગઠન (A-WEB) ના અધ્યક્ષ તરીકે ચૂંટણી પંચના કાર્યકાળના એક વર્ષ પૂરા થવા પ્રસંગે યોજવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, આજ રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ પ્રકાશનો ‘Brief Profiles of the Countries, member EMBs and Partner Organisations of A-WEBઅને  ‘COVID 19 and International Election Experience’, સંશોધનકારો અને વ્યવસાયીઓ માટે ઉપયોગી બની રહેશે. તેઓએ જણાવ્યુ કે,  A-WEB ભારત કેન્દ્ર દ્વારા “AWEB Journal of Electionsનામે વિશ્વ કક્ષાની જર્નલ પ્રકાશિત કરવા અંગે નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે.  આ જર્નલનો પ્રથમ અંક માર્ચ 2021 માં પ્રકાશિત થશે.

વિશ્વના 45 દેશોના 120 થી વધુ પ્રતિનિધિઓ (જેમ કે, અંગોલા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂટાન, બોસ્નીયા અને હર્ઝેગોવિના, બોત્સ્વાના, બ્રાઝિલ, કંબોડિયા, કેમેરોન, કોલમ્બિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ડોમિનિકા, અલ સાલ્વાડોર, ઇથોપિયા, ફીજી, જ્યોર્જિયા, ઇન્ડોનેશિયા, જોર્ડન, કઝાકિસ્તાન, કોરિયા રિપબ્લિક, કિર્ગીઝ રિપબ્લિક, લાઇબેરિયા, માલાવી, માલદીવ, મોલ્ડોવા, મંગોલિયા, મોઝામ્બિક, નાઇજિરિયા, પેલેસ્ટાઇન, ફિલિપાઇન્સ, રોમાનિયા, રશિયા, સાઓ ટોમ અને પ્રિન્સિપ, સોલોમન આઇલેન્ડ, સીએરા લિયોન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, સુરીનામ, સ્વીડન, તાઇવાન, ટોંગા, તુર્કી, ઉઝબેકિસ્તાન અને ઝામ્બીયા) અને અન્ય 4 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (જેમ કે, International IDEA,  International Foundation of Electoral Systems (IFES), Association of World Election Bodies (A-WEB) and European Centre for Elections) એ આજ રોજ વેબિનારમાં ભાગ લીધો.

A-WEB એ ચૂંટણી સંચાલન કરતી સંસ્થાઓ (Election Management Bodies -EMBs) નું વિશ્વ કક્ષાનું સૌથી મોટું સંગઠન છે. હાલની સ્થિતીએ A-WEB માં ૧૧૫ EMB પ્રતિનિધી અને ૧૬ પ્રાદેશિક સંગઠનો / સંસ્થાઓ સહયોગી પ્રતિનિધી છે. ભારતનું ચૂંટણી પંચ ૨૦૧૧-૧૨ થી
A-WEB
ની રચના સાથે ખૂબ નજીકથી સંકળાયેલ છે. તેમ પવન દિવાન ઉપ સચિવ ની યાદીમાં જણાવ્યું છે.

(12:00 am IST)