મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

મુંબઈમાં બોલાર્ડ પિયર ખાતે એનસીબીની કચેરીમાં આગ

ઓફિસમાં બોલિવૂડ ડ્રગ કેસના દસ્તાવેજો હતા : એનસીબીની તે ઓફિસમાં આગ લાગી છે જ્યાંથી રિયા અને બોલીવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવામાં આવી

મુંબઈ,તા.૨૧ : સુશાંત કેસમાં બોલિવુડ ડ્રગ કનેક્શનની તપાસ કરતી એનસીબીની મુંબઈ ઓફિસની બિલ્ડિંગમાં સોમવારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીની તે ઓફિસમાં આગ લાગી છે જ્યાંથી રિયા ચક્રવર્તી અને બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈના બોલાર્ડ પિયરમાં આવેલ એક્સચેંજ બિલ્ડીંગમાં આગ લાગી છે. આ બિલ્ડીંગમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસ આવેલી છે. ઘટનાસ્થળે ફાયર ફાઈટરના ગાડીઓ પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. આ જ ઓફિસમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ ચાલી રહી છે. અહીંયા રિયા ચક્રવર્તીથી લઈને દરેક ડ્રગ પેડલરની એનસીબી ઓફિસરો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ધરપકડ પછી રિયાએ એક રાત એનસીબી ઓફિસના લોકઅપમાં કાઢી હતી.

             ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થોડી વાર પછી આગને કાબૂમાં લેવામાં આવી. એવી આશંકા હતી કે આગમાં કેટલાંક મહત્વપૂર્ણ દસ્તાવેજો બળી શકે છે, જોકે અધિકારીઓએ તેનો ઇનકાર કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ, રિયા ચક્રવર્તી અને બોલિવૂડ ડ્રગ કનેક્શનથી સંબંધિત દસ્તાવેજો આ ઓફિસમાં રાખવામાં આવ્યા છે. સોમવારે બપોરે અચાનક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ એનસીબી ઓફિસમાં લાગી હતી. બારીમાંથી ધુમાડો અને જ્વાળાઓ આવવા લાગી. ઓફિસમાં હાજર લોકો ગભરાઈ ગયા. ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ પર કાબૂ ન આવતા ફાયર એન્જિનોને બોલાવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના બીજા માળે સામાન્ય આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં એનસીબી ઓફિસ છે પરંતુ તે ત્રીજા માળે છે. એનસીબી કચેરી સંપૂર્ણ સલામત છે. આગને કાબૂમાં લેવામાં આવી છે, કોઈ ઈજાના સમાચાર નથી.

(12:00 am IST)