વિધાનસભા ચૂંટણી : કોંગી માટે ડુ ઓર ડાયની સ્થિતિ
સોનિયા ગાંધી સામે અનેક નવા પરિબળો રહેશે :૩૭૦ની નાબૂદી, રાષ્ટ્રવાદના મુદ્દા કોંગી માટે સમસ્યારૂપ
નવીદિલ્હી, તા. ૨૨ : લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણપણે સફાયો થયા બાદ કોંગ્રેસ પાર્ટી ખુબ જ ખરાબ સ્થિતિમાંથી નિકળી રહી છે. કોંગ્રેસ માટે અસ્તિત્વની કટોકટી ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને નકારાત્મક પરિણામ મળશે તો કોંગ્રેસના કાર્યકરોમાં હતાશાની ભાવના અનેકગણી વધી જશે અને કોંગ્રેસની મુશ્કેલી ખુબ વધી જશે. આને લઇને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સંપૂર્ણપણે સક્રિય થઇ ગયા છે. કટોકટીના સમયે રાહુલ ગાંધીએ પાર્ટી પ્રમુખ તરીકે રાજીનામુ આપી દીધા બાદ મહિનાઓ સુધી ખેંચતાણ રહ્યા પછી આશરે સોનિયા ગાંધીને જ પાર્ટી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
સોનિયા ગાંધી પાર્ટીની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. તમામ લોકો જાણે છે કે, જ્યારે અટલ બિહારી વાજપેયીની લહેર હતી ત્યારે પણ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીને મજબૂત કરવામાં સફળતા મેળવી હતી. જો કે, ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટી માટે સ્થિતિ વધારે નિરાશાજનક રહી છે. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યા બાદ સોનિયા ગાંધી સક્રિય થયેલા છે. મહારાષ્ટ્ર એકમમાં પણ ગતિવિધિ વધી ગઈ છે.
જો કે, કોંગ્રેસ પાર્ટી માટે સ્થિતિ સરળ નથી. કારણ કે, કોંગ્રેસના મોટા નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસો, કલમ ૩૭૦ની નાબૂદી જેવા મુદ્દા ભારતને લાભ અપાવી શકે છે. રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર ચર્ચાને લઇને ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીની તરફેણમાં માહોલ બનાવ્યો છે. સોનિયા ગાંધી માટે રાજ્ય વિધાનસભાની ચૂંટણી નિર્ણાયક બનનાર છે. હરિયાણા અને મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસ માટે આ ગાળો ખુબ નિર્ણાયક રહેનાર છે. સોનિયા ગાંધી માટે આ ગાળો ડુ ઓર ડાયનો છે.