મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

વિસ્તૃત પુછપરછ બાદ પૂર્વપ્રધાન ચિદમ્બરમની મોડી રાત્રે ધરપકડ

ચિદમ્બરમના આવાસ ઉપર મોડી રાત્રે હાઈડ્રામાબાજીની સ્થિતિ : ચિદમ્બરમના આવાસ પર પહોંચેલી સીબીઆઈ અને ઈડીના અધિકારીઓની સાથે કોંગ્રેસના કેટલાક કાર્યકરની જોરદાર મારામારી : ભારે તગંદીલી ફેલાઈ

નવી દિલ્હી, તા. ૨૧ : પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી. ઘણા સમય સુધી હાઈડ્રામાબાજીનો દોર ચાલ્યો હતો.

         સ્થિતિને સામાન્ય બનાવવા પોલીસને મદદ લેવામાં આવી હતી. તે પહેલા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડને ટાળવા ૪૮ કલાકથી વધુ સમય સુધી લાપતા રહ્યા બાદ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ આજે મોડી સાંજે કોંગ્રેસ હેડઓફિસ પહોંચ્યા હતા. ચિદમ્બરમે પોતે ફરાર હોવાના અહેવાલને રદિઓ આપતા કહ્યું હતું કે, તેમને અને તેમના પુત્ર કાર્તિને ફસાવવામાં આવી રહ્યા છે. બીજીબાજુ ચિદમ્બરમના આવાસ ઉપર સીબીઆઈની ટુકડી પહોંચી ચુકી હતી અને તપાસનો દોર શરૂ કર્યો હતો. બીજી બાજુ સીબીઆઈની ટુકડી દિવાલ કુદીને તેમના આવાસ ઉપર પહોંચી ગઈ હતી. પત્રકાર પરિષદમાં ચિદમ્બરમે કહ્યું હતુંકે, તેઓ આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી નથી. સરકાર ઉપર પ્રહાર કરતા ચિદમ્બરમે કહ્યું હતું કે, તેઓ અને તેમના પરિવારના સભ્યો કોઈ કેસમાં આરોપી નથી. સ્વતંત્રતા લોેકશાહીની સૌથી મોટી જીત છે. ચિદમ્બરમે કહ્યું હતું કે, જો તેમને જીવન અને સ્વતંત્રતા વચ્ચે કોઈ ચીજની પસંદગી કરવા માટે કહેવામાં આવે તો તેઓ સ્વતંત્રતાને પસંદ કરશે.

         તેમના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં જવા કહ્યું હતું અને તેમની સલાહ મુજબ આગળ વધ્યા છે. અગાઉ આજે દિવસભર ઘટના ક્રમનો દોર ચાલ્યો હતો. ચિદમ્બરમની આગોતરા જામીન માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારના દિવસે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની વચગાળાની જામીન અરજીની ફગાવી દેવામાં આવ્યા બાદ પૂર્વ નાણાંમંત્રીની વકીલોની ટીમની દોડધામ વધી ગઈ હતી. આજે દિવસમાં સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ચિદમ્બરમના ૧૧ વકીલોની ટીમે સીજેઆઈ સમક્ષ રજુઆત કરી હતી. હવે આ મામલાની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ૨૩મી ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. ચિદમ્બરમના વકીલ ઈચ્છતા હતા કે, સુપ્રીમ કોર્ટમાં આજે જ આ મામલા પર સુનાવણી કરવામાં આવે અને તેમની ધરપકડ પર સ્ટે મળી જાય પરંતુ આ બાબત શક્ય બની ન હતી. જસ્ટિસ રમનાની પીઠે કહ્યું હતું કે, આ કેસ લિસ્ટિંગમાં નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ તરફથી રજુઆત કરતા વરિષ્ઠ વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પૂર્વ નાણામંત્રીની ધરપકડ પર સ્ટે મુકવાની અપીલ કરી હતી. મંગળવાર સાંજે સીબીઆઈ અને ઈડીની ટીમ તેમના દિલ્હી આવાસ પર પહોંચી હતી પરંતુ તેઓ ઘરે મળ્યા ન હતા. જેથી તપાસ ટુકડી તેમના સ્ટાફની પુછપરછ કરીને પરત ફરી હતી. તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ગઈકાલે દલીલો દરમિયાન સીબીઆઈ અને ઇડીએ ચિદમ્બરમની અરજીનો એવા આધાર પર વિરોધ કર્યો હતો કે,

          તેમની કસ્ટોડિયલ પુછપરછની જરૂર છે. કારણ કે તેઓ પુછપરછને ટાળી રહ્યા છે. બંને તપાસ સંસ્થાઓએ કહ્યું હતું કે, નાણામંત્રી તરીકેના તેમના ગાળા દરમિયાન એફઆઈપીબી દ્વારા મંજુરી આપવામાં આવી હતી. તેના દ્વારા મિડિયા ગ્રુપને ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાના વિદેશી ફંડ મેળવવાની મંજુરી અપાઈ હતી. ઇડીએ કહ્યું હતું કે, જે કંપનીઓમાં આ નાણાં સીધીરીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સાથે સીધી અથવા પરોક્ષરીતે જોડાયેલી છે જેથી એમ માનવા માટે પુરતા કારણ છે કે, પોતાના પુત્રની દરમિયાનગીરીના આધાર પર ચિદમ્બરમે મંજુરી આપી હતી. હાઈકોર્ટે ૨૫મી જુલાઈ ૨૦૧૮ના દિવસે ચિદમ્બરમને ધરપકડથી બચવા વચગાળાનું રક્ષણ આપ્યું હતું. ત્યારબાદ સમય સમયે તેને લંબાવવામાં આવ્યા બાદ તેમને રાહત થતી રહી છે. સીબીઆઈએ આઈએનએક્સ મિડિયા કેસમાં ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એફઆઈઆર દાખલ કરી હતી. એફઆઈપીબીની મંજુરીમાં ગેરરીતિ ખુલ્યા બાદ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ૨૦૧૮માં ઇડી દ્વારા પણ મની લોન્ડરિંગ કેસ દાખલ કરાયો હતો.

(12:00 am IST)