આઝાદી પછી પહેલીવાર ભારત-પાક સેના એક સાથે કરશે યુદ્ધાભ્યાસ
રશિયાના ચેલ્યાબિંસ્કમાં શાંઘાઇ સહયોગ સંગઠન હેઠળ બહુરાષ્ટ્રીય દેશોનો સંયુક્ત સૈન્ય અભ્યાસ
નવી દિલ્હી :આઝાદી પછી પહેલીવાર ભારત-પાક સેના એક સાથે યુદ્ધ અભ્યાસ કરશે. રશિયાના ચેલ્યાબિંસ્કમાં શાંઘાઇ સહયોગ સંગઠન હેઠળ બહુરાષ્ટ્રીય દેશોનો સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થઇ રહ્યો છે. જેમાં ભારત અને પાક. સેના પણ ભાગ લેવા રશિયા પહોંચી છે.
આ અભ્યાસને પીસ મિશન-2018 નામ આપવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન સિવાય તેમાં ચીન, કિર્ગિઝિસ્તાન, તઝાકિસ્તાન, કઝાકસ્તાન અને રશિયાના ત્રણ હજારથી વધારે સૈનિકો ભાગ લઇ રહ્યાં છે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં કેવી રીતે એકબીજાનો સહયોગ કરશે તેની અટકળો લગાવવામાં આવી રહી છે.
ભારત તરફથી આ અભ્યાસમાં ભારતીય સેનાની 5 રાજપૂત રેજિમેન્ટના સૈનિકોને મોકલવામાં આવ્યા છે. ભારતીય સૈન્ય ટુકડીમાં થલસેનાના 167 જવાન અને વાયુસેનાના 33 જવાનો ભાગ લઇ રહ્યાં છે. આ સંયુક્ત અભ્યાસનો હેતુ શાંતિની સ્થાપના કરવા અને આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે સંગઠનના 8 દેશો વચ્ચે પરસ્પર સહયોગ કરવાનો છે