સમગ્ર દેશમાં નિકળશે અટલજીની અસ્થિ કુંભ યાત્રા
આજે મોદી-શાહ પ્રદેશ પ્રમુખોને સોંપશે કુંભ
નવી દિલ્હી તા. રર :.. ભુતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિઓની કુંભ યાત્રા આખા દેશમાં કાઢવામાં આવશે. નવી દિલ્હી સ્થિત ભાજપાના જુના મુખ્યાલય એટલે કે ૧૧, અશોક રોડમાં પક્ષ પ્રમુખ અમિત શાહ આજે દેશના બધા પ્રદેશ અધ્યક્ષોને અસ્થિ કુંભ સોંપશે. ભાજપા હેડ કવાર્ટરમાં આજે મોટો કાર્યક્રમ થશે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, ભાજપા અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા ભાજપા નેતા હાજર રહેશે. બધા પ્રદેશ પ્રમુખો પોત પોતાના રાજયોમાં અસ્થિ કુંભ લઇને જશે અને પછી આખા રાજયમાં અસ્થિ કળશ યાત્રા નિકળશે. રાજયની રાજધાનીથી માંડીને તાલુકા સુધી અટલ કુંભ યાત્રા અને શોકસભાનું આયોજન કરાશે.
આ ઉપરાંત વાજપેયી પરિવાર આજે જ અસ્થિકુંભ લઇને ગ્વાલિયર જશે, જયાં એક પ્રાર્થના સભાનું આયોજન થશે.
૧૯ ઓગસ્ટે ઉત્તરાખંડના હરિદ્વારમાં અટલ બિહારી વાજપેયીના અસ્થિઓનું વિસર્જન કરાયું હતું. આ વખતે ભાજપાના પ્રમુખ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓ ઉપસ્થિત હતાં.
આ પહેલા યોગી સરકાર વાજપેયીના અસ્થિઓને ઉત્તર પ્રદેશના ૭પ જીલ્લાઓની ૧૬૩ નદીઓમાં વિસર્જીત કરવાની જાહેરાત કરી ચૂકી છે. આ ઉપરાંત ઘણા જીલ્લાઓમાં તેમનું સ્મારક બનાવવાનું પણ જાહેર કરાયું છે. (પ-૧૩)